વોર્ડ નં.1માં 25 માચડા ગેરકાયદે ખડકાયા, 6 સ્થળોએ દબાણ
મહાનગરપાલિકા દ્વારા ‘મેયર તમારા દ્વારે’ લોકદરબારનો પ્રારંભ
સફાઈ સહિત 82 જેટલી ફરિયાદો આવી; અગ્નિકાંડના બે મહિના બાદ લોકોની વચ્ચે જતાં નગરસેવકો-અધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારે જ માજા મુકી છે તે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં સામે આવ્યો છે. આકાંડમાં ભોગ બનનાર પીડિત પરિવારોને ન્યાય આપવામાં ઉણા ઉતરેલા મનપાના પદાધિકારીઓ દ્વારાએ પ્રજાનો વિશ્ર્વાસ જીતવા માટે મેયર તમારા દ્વારે લોકદરબાર શરૂ કરવામા આવ્યો છે. આ લોકદરબારમાં સૌથી વધારે ફરિયાદ ગેરકાયદે બાંધકામની પ્રજા દ્વારા કરવામા આવી છે. જે દર્શાવે છે કે શહેરના એક જ વોર્ડમાં 25 જેટલા બાંધકામ ગેરકાયદે છે તો શહેરના 18 વોર્ડમાં ગેરકાયદે બાંધકામના માંચડા કેટલાક ખડકાયેલા હશે.
રાજોકટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. 1 માં લોક દરબારયોજવામાં આવ્યો હતો જેમાં 82 જેટલી ફરિયાદો આવી હતી તેમાં વોર્ડ નં. 1માં સૌથી વધારે ગેરકાયદે ખડકાયેલા માચડા અંગે 25 જેટલી ફરિયાદ આવી હતી. જ્યારે 28 જેટલી વોકળાની અને દબાણ-ટીપીની 6 જેટલી ફરિયાદ લોકો દ્વારા કરવામા આવી છે.વોર્ડ નં. 1માં થયેલા ગેરકાયદે બાંધકામ પર કોના ચાર હાથ છે તેવા પ્રશ્ર્નો પણ પ્રજા દ્વારા મેયર સહિતની જવાબદારોને પુછવામાં આવ્યા હતાં.
અગ્નિકાંડ બાદ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ હવે બે મહિના બાદ પ્રજાની વચ્ચે જઈ રહ્યા છે. મનપાના ભ્રષ્ટાચારના પાપે 27 જેટલી માસુમ જીંદગી આગમાં હોમાય ગઈ હતી. ત્યાર બાદ મનપા દ્વારા શહેરમાં અડકાયેલી ગેરકાયદે બાંધકામ અને એનઓસી બાબતે આડેધડ સીલ મારતા લોકોના જીવનનિર્વાણ પર તેની અસર થઈ હતી. અને લોકોમાં વ્યાપક રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભારે પ્રજાના રોષને ખાળવા માટે પણ મનપા દ્વારા આ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. તેવો ગણગણાટ પણ શહેરીજનોમાં થઈ રહ્યો છે.
વોર્ડ નં.1માં ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટ, ધરમનગર સોસાયટી શેરી નં.3ના ખૂણે, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, વોર્ડ નં.1ના કોર્પોરેટરદુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા,નાયબ કમિશનર સી.કે.નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂૂ, આસી.કમિશનર સમીર ધડુક, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, વોર્ડ નં.1નાં ઈ.ચા.એન્જીનિયરએમ.બી. ગાવિત,એ.ટી.પી. મનોજ શ્રીવાસ્તવ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, નાયબ કાર્યપાલક ઈજનેર (રોશની)બીરજુ મહેતા, ઈ.ચા.મેનેજર ફાલ્ગુની કલ્યાણી, વોર્ડ ઓફિસર મહેશ મુલીયાણા, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, મેનેજર કૌશિક ઉનાવા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.1ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ ખાણધર, મહામંત્રી નાગજીભાઈ વરૂૂતથા વોર્ડના બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
કમિશનર ડી.પી.દેસાઈએ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી ચાલતી પ્રણાલીના ભાગરૂૂપે આજથી તમામ વોર્ડમાં ક્રમશ: વોર્ડના નાગરિકોના પ્રશ્નો સાંભળવા માટેલોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવશે.વોર્ડના ટૂંકાગાળાના કે લાંબાગાળાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.વોર્ડના વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવો અનુરોધ કરવામાં આવે છે.
મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, દરેક નાગરિકને પોતાના વોર્ડમાં વિવિધ બાબતો માટે વેદના હોઈ, વ્યથા હોઈ તેના નિરાકરણ માટે અમે તમારા દ્વારે આવ્યા છીએ. આપણા વિસ્તારને અગવડતામાંથી સગવડતા માટે આ લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપને કોઈ પ્રશ્ન હોઈ તો કહી શકો છો અને તેનો નિકાલ તાત્કાલિક કરાવીશું. સૌ સાથે મળીને વોર્ડના પ્રશ્નોનો નિકાલ કરીએ.