સૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 43 ડેમની જળસપાટી 0.10થી 21 ફૂટ સુધી ઉંચી આવી: 6 ડેમના દરવાજા ખોલાયા, ત્રણ જળાશય ઓવરફ્લો
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શરૂઆતમાં જ સાંબેલાધાર વરસાદ પડતા જળાશયોમાં નવાનીરની આવક થઈ છે. સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રઝોનમાં પડયો છે. એનાથી સૌરાષ્ટ્રના મોટા ભાગના જળાશયોની સપાટી ઉંચી આવી છે. સૌરાષ્ટ્રના 43થી વધુ ડેમ 0.10થી 21 ફૂટ સુધી વરસાદી પાણીની આવક નોંધાઈ છે. ત્રણ ડેમ અવફ્લો થયા છે અને જળાશયના દરવાજા ખોલવામાં આવ્યા છે.
ગઈકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના પરિણામે અનેક ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, 20 ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે તેમની સંગ્રહ ક્ષમતા 100 ટકા અથવા તેની નજીક પહોંચી ગઈ છે.
ધારી ડેમમાં પણ 97.67 ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે, જેને પણ હાઈ એલર્ટની યાદીમાં સામેલ કરાયો છે. મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 91.86 ટકા અને જામનગરના રૂૂપેળ (90.87 ટકા) તથા સપડા (90.29 ટકા) ડેમો પણ 90 ટકાથી વધુ ભરાયા છે, જેથી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વરસાદની વર્તમાન સ્થિતિ જોતા, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીકાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ડેમોના ગેટ ગમે ત્યારે ખોલવાની ફરજ પડી શકે છે, જેના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.