ખંઢેરા નજીક બે કાર અથડાતા બેનાં મોત: 3ને ઇજા
જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ખંઢેરા નજીક સાંજના સમયે બે મોટરકાર સામસામે અથડાઈ પડતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ખંઢેરા ગામના એક તરુણ અને ભાવનગર પંથકના એક યુવાન સહિત બે વ્યક્તિના ગંભીર ઇજા થવાથી અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ હોવાથી તેઓની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કાલાવડ ના ખંઢેરા નજીક યોજાયેલા લગ્ન પ્રસંગમાં આવેલા પાંચ વ્યક્તિને આ ગોજારો અકસ્માત નડ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ -જામનગર ધોરીમાર્ગ પર ખંઢેરા ગામના પાટીયા પાસે સાંજના સમયે બે મોટરકાર સામસામે અથડાઈ પડતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક કારની અંદર બેઠેલા કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના લકીરાજસિંહ દીપેન્દ્રસિંહ જાડેજા નામના 17 વર્ષના તરુણ તેમજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લીલવાણ ગામના આર્યદિપસિંહ જયદીપસિંહ વાળા નામના 19 વર્ષના યુવાન, જે બંનેના ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિ યક્ષદિપસિંહ ધર્મેન્દ્રસિંહ, અર્જુનસિંહ ગજેન્દ્રસિંહ અને આદિત્યસિંહ ક્રિપાલસિંહ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા હોવાથી ત્રણેયને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તમામની સઘન સારવાર ચાલી રહી છે. કાલાવડ નજીક ખંઢેરા ગામમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં પાંચેય વ્યક્તિઓ લગ્ન પ્રસંગમાં જોડાયા હતા, અને કોઈ કામ સબબ ખંઢેરા ગામથી કારમાં બેસીને કાલાવડ તરફ જઈ રહ્યા હતા, દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. સમગ્ર બનાવવાની જાણ થતાં કાલાવડ નો પોલીસ કાફલો બનાવ ના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.