કલ્યાણ જ્વેલર્સમાંથી 2.17 લાખના સોનાના ચેઈનની ચોરી : સ્ટાફની સંડોવણીની શંકા
યાજ્ઞિક રોડ પર આવેલા નામાંકિત એવા કલ્યાણ જવેલર્સમાંથી રૂૂા.2.17 લાખની કિંમતને સોનાનો ચેઈન ચોરી થઈ ગયાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.જો કે સીસીટીવી કેમેરામાં ચેઈન લઈ જતાં કોઈ દેખાયું નથી.શો રૂૂમના મેનેજર રાજેશ વિનોદભાઈ ધીનોજા (ઉ.વ. 36, રહે. રેલનગર મેઈન રોડ, રામેશ્વર-4, જશરાજ કોમ્પ્લેક્ષ)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે છેલ્લા પાંચ વર્ષથી શો રૂૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ તા.5ના રોજ રાત્રે નિત્યક્રમ મુજબ શો રૂૂમની તમામ જ્વેલરીનું કાઉન્ટીંગ કરી તેને લોકરમાં મુકી તે અંગેની જાણ હેડ ઓફિસને કરી હતી. બીજા દિવસે સવારે દસેક વાગ્યે શો રૂૂમ ખોલ્યો હતો.
ત્યારબાદ તમામ સ્ટાફે લોકર ખોલી જવેલરીને અલગ-અલગ સેક્શનમાં ડિસ્પ્લેમાં રાખી હતી. રાત્રે નવેક વાગ્યે નિત્યક્રમ મુજબ જજ્વેલરીના વેચાણ અને સ્ટોકનું કાઉન્ટીંગ થતું હતું ત્યારે કરીમ મુલ્લા શેખ નામના કર્મચારીએ આવીને જાણ કરી હતી કે સોનાનો 32 ગ્રામ 100 મીલી ગ્રામનો ચેઈન મળતો નથી.
જેથી તેણે આ અંગે હેડ ઓફિસને જાણ કરી હતી. જ્યાંથી સીસી ટીવી કેમેરા જોવાની સુચના મળતા બે દિવસ સુધી ફુટેજ જોયા હતા.પરંતુ કોઈ ચેઇન લઈ જતું હોવાનું દેખાયું ન હતું.આ અંગે હેડ ઓફિસને જાણ કરતાં ત્યાંથી ફરિયાદ નોંધાવવાની સુચના મળતા એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.શો રૂૂમના સ્ટાફની સંડોવણીની શંકાએ પૂછપરછ શરૂૂ કરી છે.