રૈયામાં 130 કરોડની જમીનમાં ખડકાયેલા 30 મકાનો પર ફર્યુ બૂલડોઝર
- ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમાર અને પશ્ર્ચિમ મામલતદારનો કાફલો ત્રાટક્યો, પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરી ફેન્સિંગ મારી દીધી
લોકસભાની ચૂંટણી હજુ જાહેર નથી થઈ ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી અવિરત પણે ચાલુ રાખી છે. જેમાં આજે સવારે પ્રાંત અધિકારીની આગેવાન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે રાખી રૈયા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પર થયેલ દબાણ ઉપર બુલ્ડોઝર ફેરવી દઈ 130 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં જમીનોના ભાવ આસમાને પહોંચી જતાં અમુક ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર કબ્જા કરી કાચા-પાકા મકાન બનાવી શ્રમિક વર્ગોને વેચાણ આપી દીધા હોવાનું તંત્રના ધ્યાન પર આવતા આવી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ તમામ અધિકારીઓને ખાસ સુચના આપી છે.
જિલ્લા કલેક્ટરના આદેશથી આજે પ્રાંત અધિકારી ચાંદની પરમાર, પશ્ર્ચિમ મામલતદાર મહેશ શુકલ, નાયબ મામલતદાર મહિધરસિંહ ઝાલા સહિતનો કાફલો પોલીસ બંદોબસ્ત અને પીજીવીસીએલ તથા કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી રૈયામાં ત્રાંટક્યો હતો. રૈયા સર્વે નં. 318માં આવેલ સરકારી જમીન પર 30થી વધુ કાચાપાકા મકાનો બની ગયા હોય તેના પર બુલ્ડોઝર ફેરવી દઈ રૂા. 130 કરોડની કિંમતની ચાર એકર સરકારી જમીન ખુલી કરાવી હતી.રૈયા મારવાડી વાસની સામે આવેલ સરકારી ખરાબામાં થયેલા દબાણ પર બુલ્ડોઝર ફેરવી દીધા બાદ કલેક્ટર તંત્ર દ્વારા સરકારી જમીન ફરતે ફેન્સીંગ મારવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી.