10ની નોટ ગાયબ, સિક્કા કોઈ સ્વીકારતું નથી !
- રાજકોટ જથ્થાબંધ મર્ચન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત : 10ના સિક્કા ચલણમાં ફરીથી સ્થાપિત કરાવવા માંગ : 10ની ચલણી નોટના કાળાબજાર બંધ કરાવો
રિઝર્વ બેંક દ્વારા લોકોની સુખાકારી માટે 10ના સિક્કા અમલમાં મુક્યા હોવા છતાં ગ્રાહકો અને વેપારીઓ 10ના સિક્કા ચલણમાં સ્વિકારતા અચકાય છે જેના કારણે વેપારીઓને ભારે અગવડતા પડતી હોય આ મુદ્દે આજે રાજકોટ જથ્થાબંધ મર્ચન્ટ એસોસીએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 10ના સિક્કા ફરી ચલણમાં લાવવા રજૂઆત કરી છે.
રાજકોટ શહેરના વેપારી વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી 10ની ચલણી નોટ ચલણમાંથી ગાયબ થઈ ગઈ છે જેના કારણે નાના વેપારીઓને વેપાર ધંધા કરવામાં ભારે અગવડતા થઈ રહી છે. અધુરામાં પુરુ ગ્રાહકો ચલણમાં રહેલ રૂા. 10નો સિક્કો સ્વીકારતા ન હોય તેના કારણે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ મુદ્દે આજે રાજકોટ જથ્થાબંધ મર્ચન્ટ એસોસીએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રૂા. 10ના સિકકા ચલણમાં ફરી સાબીત કરાવવા માંગણી કરી છે. વેપારીઓના જુદા જુદા સંગઠનમાં કાપડના વેપારીઓ, રેડીમેટ ગાર્મેટ, કરિયાણાના વેપારીઓ, ફૂટવેરના વેપારી તથા છુટક ચીજવસ્તુના વેપાર કરતા વેપારીઓ જોડાયા હતાં.વેપારીઓ રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં 10 રૂપિયાની નોટ એકદમ રદી થઈ ગઈ છે. બેંકોમાં રૂા. 10ની નવી ચલણી નોટ મળતી નથી જેના કારણે વેપારીઓને વેપાર કરવા માટે 10ની ચલણી નોટનું બંડલ લેવા કાળાબજારમાં 1500 રૂપિયા ચુકવવા પડે છે.