વેરાવળમાંથી 1 કરોડની ખનીજ ચોરી પકડાઈ
ગીર સોમનાથ જીલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજોની હેરાફેરી મોટાપાયે થતી હોવાની ચર્ચાઓ વચ્ચે જીલ્લા કલેકટરએ કરેલા આદેશ બાદ કુંભકરણની નિંદ્રામાં સુતેલા ખાણ ખનીજ વિભાગની ટીમે એક જ દિવસમાં વેરાવળ, કોડીનાર અને ઉનામાંથી 12 ટ્રેક્ટર બેલા પથ્થર ભરેલા તથા બે ડમ્પર રેતી ભરેલા મળીને કુલ એક કરોડનો માલ અને વાહનો જપ્ત કરીને કાર્યવાહી કરતાં ખનીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે.
ઘણા સમયથી જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ખનીજ ની ચોરી કરી હેરાફેરી મોટા પાયા થતી હોવાની વ્યાપક ચર્ચાઓ વહીવટી તંત્રના ધ્યાને આવી હતી. જેના આધારે જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ ખાણ ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હતો. જેને લઈ આજરોજ કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વેરાવળમાં નમસ્તે ચોકડી ખાતે આવેલ શ્યામ ડીલક્ષ પાન પાસેથી 11 ટ્રેક્ટર લાઈમસ્ટોન બેલા પથ્થર અને 1 ડમ્પર સાદી રેતી ભરેલા, ઉનામાં ભગીરથ હોટલ પાસેથી 1 ટ્રેક્ટર લાઇમ સ્ટોન ભરેલ અને કોડીનારમાંથી 1 ડમ્પર સાદી રેતી ભરેલા ગેરકાયદેસર પરીવહન કરતા રંગેહાથ ઝડપી લીધા હતા. આમ, ખનિજના કુલ 12 ટ્રેક્ટર અને સાદી રેતીના 2 ડમ્પરો મળી કુલ અંદાજે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે ગીર સોમનાથ જીલ્લામાં મોટાપાયે ખનીજ ચોરી થઈ રહી હોવા છતાં કાર્યવાહી કરવામાં ખાણ ખનીજ વિભાગ વમણું પુરવાર થતું હોવાની સાથે કુંભકરણની નિદ્રામાં કામ કરી રહ્યું હોવાની ઠેરઠેર ચર્ચાઓ થઈ રહી છે. દરમ્યાન જીલ્લા કલેકટરની સૂચના બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગે કરેલ કાર્યવાહી ઉપરથી જ જીલ્લામાં ખનીજના ચાલતા કાળા કારોબારને પુષ્ટિ થઈ હોવાની લોકોમાં ચર્ચા શરૂૂ થઈ છે.