ખંભાળિયા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયા - દ્વારકા માર્ગ પર શુક્રવારે બપોરના સમયે દ્વારકા દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રોનું મોટરસાયકલ અકસ્માતગ્રસ્ત થતા આ બાઈકમાં જઈ રહેલા જામનગરના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગર તાબેના જુના નાગના ગામના રહીશ દેવરામભાઈ નાનજીભાઈ રાઠોડ નામના 23 વર્ષના યુવાન તેમના મિત્ર હસમુખભાઈ આતુભાઈ શીવાડ (રહે. જામનગર) અને કિશોરભાઈ ધનજીભાઈ જોરીયા (ઉ.વ. 23, રહે. સુભાષ પાર્ક, જામનગર) સાથે ગઈકાલે શુક્રવારે ત્રીપલ સવારીમાં જામનગરથી દ્વારકા દર્શનાર્થે નીકળ્યા હતા.
બપોરના સમયે તેઓ દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આશરે 12:30 વાગ્યાના સમયે ખંભાળિયા - દ્વારકા હાઈવે માર્ગ પર વડત્રા ગામના પાટીયા પાસે પહોંચતા આ મોટરસાયકલ એક ડિવાઇડર સાથે અથડાયું હતું. જેના કારણે તેઓ ફંગોળાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જરૂૂરી કાર્યવાહી કરી હતી.
આ અકસ્માતમાં અપરિણીત એવા કિશોરભાઈ ધનજીભાઈ જોરીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત અંગે દેવરામભાઈ રાઠોડની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બાઈકને બેદરકારીપૂર્વક ચલાવવા સબબ બાઈકના ચાલક હસમુખભાઈ શિવાડ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.