ઇંગોરાળામાં સરપંચ પદે દાવેદારી કરનાર યુવકને ધમકી મળતા આપઘાત
ગામના ત્રણ શખ્સોએ ચૂંટણીમાં ફોર્મ નહીં ભરવા ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી
ગઢડાના ઈંગોરાળા ગામે આપઘાતના બનેલાં એક ચોકાવનારા બનાવમાં હાલ ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે દાવેદારીની ઈચ્છા માત્ર વ્યક્ત કરી ત્યાં ગામના જ ત્રણ શખ્સે ધમકી આપતાં યુવકે ધમકીથી કંટાળી ઝેરી દવા ગગટાવી લેતા સારવારમાં મોત થયું હતું. મૃતકે આપઘાત પૂર્વે ગામના ત્રણ શખ્સોના ત્રાસથી આ પગલું ભર્યાની સ્યુસાઈડ નોટ લખતાં પોલીસે તેને કબ્જે કરી તેના આધારે ગામના જ ત્રણ શખસ વિરૂૂદ્ધ ગુનો નોંધ્યો છે.
બનાવની વિગત એવી છે કે, બોટાદના ગઢડામાં રહેતાં અને મુળ ઈંગોરાળાના વતની અનિરૂૂદ્ધભાઈ દડુભાઈ ખાચર (ઉં.વ.40)એ બે દિવસ પૂર્વે ઈંગોરાળાના સરપંચ પદેે ઉમેદવારી કરવા ફોર્મ ભરવા માટે તૈયારી દર્શાવી હતી. આ દરમિયાન ગામના ત્રણ શખ્સોએ તેમને સરપંચ માટે ફોર્મ નહી ભરવાનું જણાવી ધાક ધમકી આપી હતી.જેના કારણે અનિરૂૂદ્ધભાઈને ધમકી અંગે લાગી આવતા બે દિવસ પૂર્વે પોતાની વાડીએ જઈને ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતે સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બે દિવસની સારવારના અંતે તેમનું મોત નિપજ્યું હતુ.જયારે, મૃતકે આપઘાત પૂર્વે સ્યુસાઈડ નોટ લખી હતી. જે પોલીસે કબ્જે લીધી હતી. જયારે, બનાવને લઈ મૃતકના ભાઈ રણજીતભાઈ દડુભાઈ ખાચરે ઢસા પોલીસ મથકમાં ગામમાં જ રહેતાં મહેશ ગભરૂૂભાઈ ખાચર, અમરશી ભગવાનભાઈ ઝાપડીયા અને પ્રવિણ ભગવાનભાઈ ઝાપડીયા વિરૂૂદ્ધ સરપંચ પદ માટે ફોર્મ નહીં ભરવા માટે પોતાના ભાઈને ધાક-ધમકી અને માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કર્યાંની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના સ્યુસાઈડ નોટના આધારે ત્રણ વિરૂૂદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.