રાજકોટના બે યુવાનો નકલી કિન્નર બની બારડોલીમાં પૈસા ઉઘરાવતા હતા, ‘અસલી કિન્નરો’એ પકડી મેથીપાક ચખાડ્યો
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નકલી કિન્નર બની ઉઘરાણી કરતા બે પુરુષ પકડાયા છે. આ બંનેએ સરભોણ ગામમાં એક લગ્ન પ્રસંગમાં 31000 રૂૂપિયાની માંગણી કરી હતી. જો કો સ્થાનિકોએ સ્થાનિક કિન્નરોને જાણ કરતા અસલી કિન્નરોએ બંનેને મેથીપાક આપી અર્ધનગ્ન કરીને પોલીસને સોપ્યાં છે.
આ ઘટના બારડોલી તાલુકાના સરભોણ ગામમાં બની હતી, જ્યા એક લગ્નપ્રસંગમાં આ બન્ને કિન્નરો જઈ ચડ્યા હતા અને ફરજીયાત 31000 રૂૂપિયાની માંગણી કરી હતી. સ્થાનિકોએ આ બંને કિન્નરોની ઓળખ અંગે પૂછપરછ કરતા લોકોને શંકા ઉભી થઇ હતી. નકલી કિન્નરોની દાદાગીરીથી ગભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બારડોલી કિન્નર સમાજના આગેવાન પૂનમ કુંવરબાને જાણ કરી હતી. માહિતી મળતા જ પૂનમ કુંવરબા અન્ય કિન્નરો સાથે તુરંત સરભોણ ગામ પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી કિન્નર સમાજના આગેવાને બંને શખ્સોની પૂછપરછ કરી હતી. તેમની વર્તણૂક શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા સામે આવ્યું કે આ બંને અસલી કિન્નર નહીં, પરંતુ કિન્નરનો વેશ ધારણ કરેલા પુરુષો હતા. આ ખુલાસો થતા અસલી કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગુસ્સે ભરાયેલા કિન્નરોએ બંને નકલી કિન્નરોને અર્ધ-નગ્ન કરી જાહેરમાં પાઠ ભણાવ્યો હતો.
બંને નકલી કિન્નરોનેને રિક્ષામાં બેસાડી બારડોલી રૂૂરલ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં આ બંને ઠગ શખ્સોની ઓળખ રાજકોટના ભરતભાઈ પુનાભાઈ માંગરોળીયા અને અરવિંદભાઈ જીવનનાથ પરમાર તરીકે થઈ હતી. હિન્દુ સંસ્કૃતિમાં કિન્નર સમાજને શુભ માનવામાં આવે છે અને તેઓ શુભ પ્રસંગોએ આશીર્વાદ આપવા પહોંચે છે, જ્યાં યજમાન શક્તિ મુજબ દાન-દક્ષિણા આપે છે. જોકે, આ બે શખ્સોએ મર્યાદા ઓળંગી હતી, પણ તેમનું પાખંડ સામે આવી ગયું હતું.