ગીરસોમનાથમાં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
આગામી બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને ભય ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, ગેરકાયદેસર ગૌવંશ કતલનો ખોટો વિડીયો વાયરલ કરનાર એક ઈસમને એલ.સી.બી. ગીર સોમનાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડવાસણ મુળદ્વારકા રોડ પાસેની પડતર જગ્યામાં, જ્યાં મૃત પશુઓના અવશેષો પડેલા હતા, ત્યાં બે ઈસમોએ ગૌવંશનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાનો ખોટો વિડીયો બનાવ્યો હતો. બકરી ઈદના તહેવાર દરમિયાન સુલેહ શાંતિનો ભંગ કરવાના ઈરાદે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.
આ બાબતની જાણ થતા જ, એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.સી.સિંધવે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એલ.સી.બી.ના એ.એસ.આઇ. શૈલેષભાઈ ડોડીયા તથા પો.હેડ કોન્સ. લલીતભાઈ ચુડાસમાએ એલસીબી કોડીનાર અને કોડીનાર પોલીસની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જણાયું કે, રોડ કાંઠે ઝાડી-ઝાંખરીવાળી જગ્યામાં પશુના અવશેષો અને હાડકાં પડેલા હતા, જે પ્રાથમિક દ્રષ્ટિએ મૃત પશુઓ નાખતા હોવાનું જણાયું હતું.આ ખોટી રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર આરોપી હરેશભાઈ ખીમજીભાઈ જાદવ (રહે. લીલવણ તા.મહુવા જી.ભાવનગર હાલ-દ્રોણ તા.ગીરગઢડા) અને જયેશ ગોસ્વામી (રહે.મોરડીયા તા.સુત્રાપાડા) ને પકડી પાડી આઇપીસી 196(1)અ અને ઇ તેમજ 353 ઇ અને ઈ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના દર્શાવે છે કે, સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કડક હાથે કામ લેશે.