કલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાંથી જેસા લાખા ચેતરીયા નામના એક શખ્સ દ્વારા તારીખ 5-09-2008 થી 16-01-2009 સુધીના સમયગાળા દરમિયાન વિનોદભાઈ નામના એક આસામીની લાંબા ગામની સીમમાં આવેલી લીઝમાં ભૂસ્તર શાસ્ત્રી અનિલકુમાર ઉનિયાલ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રદીપ જાદવની ટીમ દ્વારા તારીખ 5-09-2008 ના રોજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. લાંબા ગામના ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની જગ્યામાં વિનોદભાઈની લીઝની પૂર્વ તરફ કરવામાં આવેલા ચેકિંગમાં અહીં એક હિટાચી મશીન પડ્યું હતું. મશીનની તપાસ કરતા આ મશીનનું સાયલેન્સર ગરમ હતું અને હિટાચીના તાજા ચીલા પણ જોવા મળ્યા હતા. જેથી લીઝધારકના વહીવટદારના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી અને ભૂસ્તર શાસ્ત્રી અનિલકુમાર ઉનિયાલ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ખાણમાં ખોદકામ બંધ હતું અને કોઈ હિટાચી મશીન તેઓએ ભાડે રાખ્યું ન હતું. આથી લીઝ વિસ્તારની આજુબાજુમાં ગેરકાયદેસર ખોદકામ કરી અને હિટાચી મશીન લીઝ વિસ્તારમાં સંતાડી રાખવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા અને વિનોદભાઈની લીઝની બાજુમાં ખાણકામ એકબીજાની મદદગારીમાં ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું જણાયું હતું. જેમાં આરોપી મુકેશ મનહરલાલ પંડ્યાએ લીઝધારકની બાજુમાં આવેલી સરકારી ખરાબાની ચોક્કસ સર્વે નંબરની લીઝ વિસ્તારમાંથી કોઈ પણ જાતના આધાર વગર તદ્દન ગેરકાયદેસર રીતે બોકસાઈટ મેળવવા માટે જુદા જુદા ખાડાઓમાં જુદા જુદા સમયે બ્લાસ્ટિંગ કરાવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક આરોપી રમેશ ગોવિંદભાઈ ધોકીયાએ મજૂરોની મદદથી ખાણકામ કરાવ્યું હતું. તેમાં પ્રથમ આરોપી જેસા ચેતરીયાએ ખોદકામ માટે હિટાચી મશીન તથા અન્ય સાધનો પુરા પાડી એકબીજાની મદદગારીમાં ગેરકાયદેસર રીતે ખાણ કામ કર્યું હતું. આ રીતે અનધિકૃત રીતે જુદા-જુદા વાહનો ટ્રકોમાં ખનીજનું વહન કરી કુલ 40,366.814 મેટ્રિક ટન બોક્સાઈટ ખનીજની ચોરી થયાનું જાહેર થયું હતું. આ પ્રકરણમાં પ્રતિ ટન રૂૂ. 330 લેખે કુલ રૂૂ. 1,33,21,049 ની ખનીજ ચોરી એકબીજાની મદદગારીથી કરી હોવાનો ગુનો જામનગર રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રદીપ ચંદ્રકાંત જાદવ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો.
પોલીસે આઈ.પી.સી. કલમ 379 અને 114 તથા એમ.એમ.આર.ડી. ની જુદી-જુદી કલમ ઉપરાંત ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલલીગલ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂૂલ્સ સહિતની જુદી જુદી કલમ હેઠળ તપાસનીસ અધિકારી કે.ડી. ભટ્ટ અને પી.વી. કોટવાલ દ્વારા ખનનવાળી જગ્યાની એફએસએલ અધિકારીઓ રૂૂબરૂૂ તપાસણી કરવામાં આવી હતી. જેથી એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટમા ચાલી જતા દલીલો ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ એસ.જી. મનસુરીએ આરોપી જેસા લાખા ચેતરીયા અને રમેશ ગોવિંદ ધોકીયાને તકસીરવાન ઠેરવી, ત્રણ-ત્રણ વર્ષની સખત કેદ અને પ્રત્યેકને રૂૂપિયા 25,000 નો દંડ તેમજ અન્ય એક આરોપી મુકેશ મનહરલાલ પંડ્યા દ્વારા ખનીજ ચોરી માટે ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝિવનો ઉપયોગ કર્યો હોવાથી આ ગુનામાં તેને ઉપરોક્ત સજા ઉપરાંત દસ વર્ષની સખત કેદ અને વધુ રૂૂપિયા 50,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.