1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધી
બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો ભેદ સામે આવ્યો છે. જેમાં દલપતસિંહ પરમાર નામના વ્યક્તિએ પોતાના જ મોતનું પડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યુ છે. આ માણસે કરોડોના દેવામાંથી છૂટકારો મેળવવા માટે પોતાનો જ 1.5 કરોડનો વીમો પકવવાનું ષડયંત્ર રચ્યું હતુ.
દલપતસિંહ પરમારનો વીમો ત્યારે જ પાકે જ્યારે તેનું મૃત્યુ થાય. જેથી ચાર મહિના પહેલા મરેલા વ્યક્તિની લાશ કબરમાંથી ખોદી લાવીને કારમાં મૂકી દીધી હતી. જે બાદ રાતે કારમાં મરેલા વ્યક્તિની લાશ મૂકીને સળગાવી દીધી હતી. જે બાદ દલપતસિંહ અને તેના તમામ મિત્રો ભાગી ગયા હતા. દલપતસિંહના ભાઈએ લાશને પોતાના ભાઈની છે તેમ ઓળખી બતાવીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ કેસની તપાસમાં પોલીસે આ આખા રહસ્ય પરથી પડદો ઉઠાવીને કહીકત સામે લાવ્યા છે.
આ તપાસમાં સામે આવ્યું કે, કારમાં પહેલાથી જ મૃત વ્યક્તિની લાશ હતી. ચાર મહિના પહેલા મરેલા વ્યક્તિની લાશ કારમાં મૂકીને આખી કારને બાળવામાં આવી હતી.
આ કેસનો મુખ્ય આરોપી દલપતસિંહ પરમારને કરોડોનું દેવું થઈ ગયું હતું. તે ઉતારવા માટે તેને પોતાનો જ વીમો પકવવો હતો. જેથી આ આખું તરકટ રચવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે કારસ્તાન રચનાર ત્રણ સાગરિતોની અટકાયત કરી લીધી છે પરંતુ મુખ્ય આરોપી હજી ફરાર છે.