જીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયા
દિપકભાઈ એન્ડ સન્સ અને અમન ફૂડ્સે પોતાની મિલકત દલાલ મંડળના નામે લખી દીધી: જે.કે. ટ્રેડિંગે રૂા. 17.59 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, પિતા-પુત્ર ફરાર, પોલીસ કમિશનરને આવેદન
યોગ્ય કાર્યવાહી નહી થાય ત્યાં સુધી આજથી રાજકોટ માર્કેટયાર્ડ બે મુદતી બંધ
રાજકોટ માર્કેટયાર્ડમાં ત્રણ વેપારી પેઢી કાચી પડતા દલાલ અને વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા છે. આ વર્ષે જીરૂના ભાવમાં આવેલા બદલાવથી સ્થિતિ સર્જાય છે. અને વેપારીઓમાં રોષ ફેલાયો છે. દિપકભાઈ એન્ડ સન્સ અને અમન ફૂડ્સે પોતાની મિલકત કારોબારી સભ્યના નામે લખી દીધી છે. જ્યારે જે.કે. ટ્રેડિંગ વેપારી પિતા-પુત્ર 17 કરોડથી વધુનું ફુલેકુ ફેરવી ફરાર થતાં દલાલ મંડળ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી કાર્યવાહી કરવા માંગ કરી છે. અને જ્યાં સુધીયોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી યાર્ડ બેમુદત બંધ કરી દેવામાં આવ્યું છે.
ચાલુ સાલ જીરાના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. જીરાના ભાવમાં આવેલા વેરિેઅશનના કારણે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બીપીનભાઇ ઢોલરિયાની માલીકીની જે.કે. ટ્રેડિંગ કંપની, અનિલભાઇની માલીકીની દિપકભાઇ એન્ડ સન્સ નામની પેઢી ઉપરાંત મોહનલાલ કોટવાણી નામના આસામીની અમન ફુડસ નામની પેઢી કાચી પડી છે. યાર્ડના 80 થી વધુ દલાલોના ર4 કરોડની વધુ રૂૂપિયા સલવાયા છે. ત્રણ પેઢીઓ કાચી પડવાના મામલે યાર્ડમાં છેલ્લા એકાદ સપ્તાહથી બેઠકોનો ધમધમાટ ચાલતો હતો.
પરંતુ દલાલ મિત્રોના કરોડો રૂૂપિયા સલવાયા છે. જેનો કોઇ નિવેડો ન આવતા આજથી કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અચોકકસ મુદત માટે રાજકોટ માકેટીંગ યાર્ડમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખરીદ-વેચાણની હરરાજી અટકાવી દેવામાં આવ્યું છે. કાચી પડેલી ત્રણ પૈકી એક પણ પેઢીના ભાગીદાર કે માલીક ભુગર્ભ ગટરમાં ઉતરી ગયા નથી કે કોઇ અજ્ઞાત સ્થળે પણ ગયા નથી.જીરાના ભાવમાં આવેલા અકલ્પનીય વેરિએશનના કારણે પેઢીના માલીકોએ દલાલ ભાઇઓ રૂૂપિયા ચૂકવવામાં અસમર્થતા દર્શાવી છે.
ગત વર્ષ જીરાના ભાવ આસમાને આંબ્યાં હતા. જયારે આ વર્ષે ભાવમાં મોટો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે પેઢીઓ કાચી પડી છે. હવે માકેટીંગ યાર્ડમાં વેપાર કરવો દલાલ મિત્રો માટે ખુબ જ જોખમી બની ગયો છે. કારણ કે કમિશનની ટકાવારી માત્ર 1 ટકો છે. જયારે જોખમ 100 ટકા રહેલું છે. દર વર્ષ કોઇ એક જણસીના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળે છે. જેનો ભોગ દલાલોએ બનવો પડે છે. યાર્ડમાં જીરાના ભાવમાં આવેલી મોટી ઉથલ પાથલના કારણે હવે દલાલ મિત્રો અચોકકસ મુદત સુધી યાર્ડ બંધ રાખવાનું એલાન આપવા માટે મજબુત બન્યા છે. બીજી તરફ સરકાર દ્વારા નિયમો પણ આકરા બનાવવામાં આવી રહ્યા છે. જેના કારણે યાર્ડમાં વેપાર કરવો વેપારી, દલાલો કે કમિશન માટે મુશ્કેલ બની ગયો છે.
ત્રણ ત્રણ પેઢીઓ કાચી પડતા રાજકોટ માકેટીંગ યાર્ડના 80 થી વધુ દલાલોના ર4 કરોડ રૂૂપિયા સલવાય ગયા છે. છાશવારે કાચી પડતી પેઢીના કારણે દલાલ મિત્રોએ ભારે નુકશાની વેઢવી પડે છે. ઉઠમણાની ઘટના અટકતી નથી યાર્ડના દલાલોને નુકશાનીના ડામ ચાલુ રહે છે. આજથી યાર્ડના દલાલો દ્વારા અચોકકસ મુદત બંધનું એલાન આપવામાં આવ્યું છે. યાર્ડમાં હડતાલ લાંબી ન ચાલે અને ઝડપથી ધંધા રોજગાર ધમધમતા થઇ જાય તે માટે યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના ડિરેકટરોએ દલાલ મિત્રો સાથે બપોરે તાકીદની બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી શકયતા પણ જણાય રહી છે.
વહેલીતકે સમાધાન થાય અને યાર્ડ શરૂ થાય તેવા પ્રયત્નો કરાશે
યાર્ડમાં ત્રણ પેઢી કાચી પડતા દલાલોના 24 કરોડથી વધુ નાણા ફસાયા છે. અને તેના વિરોધમાં બે મુદતી હડતાલ યાર્ડમાં પાડવામાં આવી છે ત્યારે વેપારી અને દલાલોના પ્રશ્ર્નોનું વહેલી તકે સમાધાન થાય તેવા પ્રવાસ ચાલી રહ્યા છે. અને બન્ને પાર્ટી વચ્ચે ટુંસક સમયમાં બેઠક કરી નિવારણ લઈ આવવામાં આવશે.
-જયેશભાઈ બોઘરા,
ચેરમેન :- ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ - રાજકોટ