મકાનના હપ્તા ભરવા યુવાને વ્યાજખોર મિત્રને 70 હજારની સામે 1.08 લાખ ચૂકવ્યા છતા ઉઘરાણી
રાજકોટમાં વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કુવાડવા રોડ પર ડી માર્ટની પાછળ સ્વામીનારાયણ મંદીર નજીક રહેતા યુવાને મકાનના હપ્તા ભરવા માટે વ્યાજખોર મિત્ર પાસેથી 70 હજાર 40 ટકાની વ્યાજે લીધા હતા તેની સામે રૂા.1.08 લાખ ચૂકવી દીધા છતા વ્યાજખોરે વધુ નાણાંની માંગણી કરી એક્ટિવા પડાવી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે ફરિયાદી ધાર્મીકભાઇ મોરાણીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પહેલા થોરાળા વિસ્તારમાં ભાડે રહેતા હતા હાલ કુવાડવા રોડ ડીમાર્ટ પાસે રહે છે. તેમને અગાઉ જયાં રહેતા ત્યાં મયુરનગરમાં રહેતા મિત્ર નયન વિનોદ ચૌહાણ સાથે ઓળખાણ અને બંન્નેને પૈસાની લેવડ-દેવડના વ્યવહારો હોય જેથી ધાર્મીકભાઇએ 70 હજાર 40 ટકાના વ્યાજે લીધા હતા. આ નાણાનું મહિને 7 હજાર વ્યાજ ચુકવવાનું થતું હતું. જેની સામે નયનને સમયસર 7 હજારનું વ્યાજ ચુકવવાતું હતું. તેમને કટકે-કટકે 24 હજાર અને મુદલની રકમ રૂા.70 હજાર ચૂકવી દીધી હતી. તેમ છતા આ નયન પૈસાની ઉધરાણી કરી ગાળો આપતો હોય તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ધાર્મીકભાઇનું એક્ટિવ પડાવી લઇ જઇ વધુ 14 હજાર મળી 70 હજારની સામે કુલ 1.08 લાખ ચુકવી છતા વધુ નાણાની ઉધરાણી કરતા થોરાળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવતા એએસઆઇ જી.ડી.શીયાર અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.