જેતલસરમાં ચોકીદાર જ ચોર નીકળ્યો, 31.64 લાખની મગફળી ચોરીમાં ચારની ધરપકડ
જેતપુરના જેતલસરમાં આવેલ ખાનગી વેર હાઉસમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીને નાફેડ દ્વારા ગીરીરાજ વેરહાઉસમાં રાખવામાં આવેલ તેની વેર હાઉસના ભુતપૂર્વ ચોકીદાર અને વર્તમાન ચોકીદાર બંનેએ સાથે મળી અન્ય બે શખ્સોની મદદથી છેલ્લા છ મહિના દરમિયાન રૂૂપિયા 31,64,956ની 1212 ગુણી મગફળી ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. ચાર ચોકીદારે ગુણીઓનો જથ્થો ચોરી કરી કોથળા બદલાવી રૂૂ.31.64 લાખની મગફળીનો જથ્થો જેતપુર યાર્ડમાં વેચી માર્યાની કબૂલાત આપતા પોલીસે વેરહાઉસના મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ કરી મુદ્દામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે.
મૂળ રાજસ્થાનના હનુમાનગઢ શંગરીયા ગામના વતની હાલ જેતપુર નવાગઢમાં રહેતા અને સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશનના ટેકનિકલ આસીસ્ટન્ટ તથા વેરહાઉસના મેનેજર તરીકે નોકરી કરતા અમીતકુમાર રામકુમાર રામપ્રતાપ ગીલ્લાએ જેતપુર પોલીસ માં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે જેતપુરના જેતલસર ગામે પાસે ગીરીરાજ વેરહાઉસ વર્ષ 2024થી ભાડેથી લઈ તેમાં ખરીદી કરેલ મગફળીની 57,100 ગુણી રાખવામાં આવી હતી. જેમાં તેની દેખરેખ માટે અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઈઝ એજન્સીના માણસો સીકયુરીટીમાં રાખવામાં આવ્યા હતા. બાદ મારી બદલી અમરેલી થતા મારી જગ્યાએ સંદિપકુમાર શ્રીપૂર્ણરામ કડવાસરાને ચાર્જ આપવામાં આવેલ બાદ 41 વેરહાઉસના ફિઝીકલ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું.
જેમાં ગીરીરાજ વેરહાઉસનું વેરિફિકેશન કરતા જાણવા મળ્યું કે 57,600 ગુણીમાંથી માત્ર 56,388 ગુણીઓ જોવા મળેલ તેમાંથી 1212 ગુણીઓ કિ.રૂૂ. 31.64 લાખની ઓછી જોવા મળેલ જેથી ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આ ચોરીમાં ચોકીદાર જ ચોર નીકળ્યા હતા. 31,64,956ની મગફળી ચોરીમાં વેરહાઉસના સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિહિર ઉર્ફે મિલો દુર્ગેશભાઈ વેકરીયાની સંડોવણી ખુલ્યા બાદ તેની પૂછપરછ કરતા મગફળી ચોરીનો પર્દાફાશ થયો હતો.
જેમાં મિહિરે બાજુના ગોડાઉનના ચોકીદાર તરીકે કામ કરતા બિપિન ઉર્ફે લાલો ધીરુભાઈ મકવાણા અને આજ વેરહાઉસના ભૂતપૂર્વ ચોકીદાર જૈમીન ઉર્ફે બાડીયો ભરતભાઈ બારૈયા સાથે મળી ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું. દેરડી ગામનો સહજ રામજીભાઈ તારપરા નામના શખ્સની પણ મદદ મેળવી છેલ્લા છ મહિનામાં જુદાજુદા સમયે બોલેરો તેમજ ટ્રેકટરની મદદથી મગફળીની ચોરી કરી હતી. ચારેએ મગફળીની ગુણીનો જથ્થો ચોરી કરી તેના કોથળા બદલાવી માલ જેતપુર યાર્ડમાં વેચી નાખ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.ચોરી થયલે મગફળી કબજે કરવા તજવીજ શરૂૂ કરી છે.