ધોરાજી પંથકમાં મળેલી ખોપરીનો ભેદ ઉકેલાયો:પતિએ ભાઈ સાથે મળી પત્નીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
ગુનો છુપાવવા કારખાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી કુંડીમાં માટી નાખી દીધી
રાજકોટ ગ્રામ્ય પોલીસે બંને આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી લીધા,ઘરકંકાસને કારણે હત્યા થયાનું તપાસમાં ખુલ્યું
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી.ત્યાર બાદ આ માનવ કંકાલની તપાસ હાથ ધરી હતી.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ,આ કંકાલ મહિલાનું હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ શકમંદને ઉઠાવી પૂછપરછ કરતા મહિલાની હત્યા તેમના પતિ અને દિયરે જ કરી હોવાનો ખુલાસો થયો છે.
ગઇ તા.06/08ના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સાંકડી રોડ પર આવેલા બંધ કારખાનામા સાફસફાઇ દરમિયાન કારખાના અંદર કુંડીમાં માનવ ખોપરી દાટેલી હોવાની હકીકત મળતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ કરી હતી. પોલીસે કારખાનાની કુંડીમાં માનવ કંકાલ દટાયેલું હોવાની જાણ થતા માનવ કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી તપાસ શરૂૂ કરી હતી. જેના પ્રાથમિક તારણમાં સામે આવ્યું હતું કે આ માનવ કંકાલ 25 થી 35 વર્ષની સ્ત્રીનું અને 6 મહિના પહેલાં જ મોત થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું.
આ તપાસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.વી.ઓડેદરા અને એસઓજી તથા ધોરાજી સિટી તેમજ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.
પોલીસ તપાસમાં માનવ કંકાલ તથા ખોપરી નાની પરબડી ગામે સાંકળી રોડ પર આવેલા કારખાનામાં અગાઉ નોકરી કરતા વિપિન યાદવની પત્ની રેશ્માદેવી ઉર્ફે સાયરા ઉર્ફે શાંતિ યાદવની હોવાનું અને તેની હત્યા થઈ હોવા અંગેના સાંયોગિક પુરાવાઓ મળી આવ્યા હતા.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સૌ પ્રથમ શકમંદ મૃતકના પતિ વિપિન યાદવ તથા તેના ભાઇ સૌરભસિંઘને ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાના તાલુકાના નગલાદયા ગામેથી પકડી પાડી પૂછપરછ કરી હતી.
જેમાં બન્નેની આકરી પૂછપરછ કરી હતી. જેથી બન્ને ભાઈ ભાંગી પડ્યા હતા અને તેમણે સ્વીકાર્યું કે, આજથી 9 મહિના પહેલાં ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આરોપી વિપિન યાદવને પોતાની પત્ની રેશ્માદેવી સાથે ઘરકંકાસ થતો હતો.વિપિન દરરોજ પોતાને તથા પોતાના ભાઈ સૌરભસિંઘ યાદવને થતી પજવણીથી કાયમી છુટકારો મેળવવા માગતો હતો. જેથી બન્નેએ રેશ્માદેવીનું ઢીમ ઢાળી દેવા પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું.આ હત્યાને અંજામ આપ્યા બાદ વિપિન અને સૌરભસિંઘ એકબીજાની મદદગારી કરી પોલીસ પકડમાંથી નાસતા ફરતા રહેતા હતા.આ બનાવ અંગે કબૂલાત આપતા રાજકોટ ગ્રામ્ય ક્રાઇમબ્રાન્ચ પોલીસે આરોપી વિપિન દીવાનસિંઘ યાદવ અને તેના ભાઈ સૌરભસિંઘ દીવાનસિંઘ યાદવને ઝડપી પાડી આઇ.પી.સી. કલમ 302, 201, 120(બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પુત્રને સ્કૂલે મોકલી વિપીને પત્નીને ગળેટુંપો આપ્યો: દેકારો ન થાય માટે સૌરભસિંઘે મોઢું દબાવી રાખ્યું
વિપિને તેના બાળક આરૂૂષને શાળાએ મોકલી તથા આ કારખાના કમ્પાઉન્ડ આસપાસ કોઇ વ્યક્તિ હાજર નથી તેની સૌરભસિંઘ યાદવ પાસે ખાતરી કરાવી લીધી. ત્યાર બાદ વિપિન તેમજ સૌરભસિંઘ યાદવે સંચા પર બેસી કામ કરતી રેશ્માદેવી ઉર્ફ સાયરા ઉર્ફ શાંતિને વિપિને દુપટ્ટાથી ગળેટૂંપો આપ્યો અને મૃત્યુ ન પામે ત્યાં સુધી સૌરભસિંઘે મોઢું દબાવી રાખ્યું.તેમજ આરોપીઓએ પોતાના દ્વારા કરવામાં આવેલી હત્યાના ગુનાને છુપાવવા માટે કારખાના શેડ પાસે આવેલી કુંડીમાં લાશને ફેંકી તે કુંડી ઉપર માટીનું પુરાણ કરી પુરાવાનો નાશ કરી દીધો હતો.