સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચવાના કેસમાં આરોપીને 20વર્ષની સજા ફટકારતી કોર્ટ
લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતી સગીરાનુ અપહરણ કરી અમદાવાદ અને દિલ્હી લઈ જઈ 20 દિવસ સુધી સાથે રાખી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુનામાં સંડોવાયેલા આરોપીને અદાલતે 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં રહેતા અંબિકાકુમાર રાજકુમાર પાસવાન નામનો શખ્સ ત્રણ વર્ષ પૂર્વે મેટોડા જીઆઇડીસીમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ભોગ બનનાર સગીરાના પરિવારે લોધીકા પોલીસ મથકમાં અંબિકાકુમાર પાસવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી અંબિકાકુમાર પાસવાનની ભોગ બનનાર સાથે ધરપકડ કરી હતી. સગીરાની પ્રાથમિક પૂછપરછમાં આરોપી અંબિકાકુમાર પાસવાન તેણીને બદનામ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. અને અમદાવાદ તેમજ દિલ્હીના નોઈડા વિસ્તારમાં લઈ જઈ 20 દિવસ સુધી સાથે રાખી શરીર સંબંધ બાંધ્યો હોવાની સગીરાએ પોલીસ સમક્ષ આપવીતી વર્ણવી હતી. પોલીસે આરોપી અંબિકાકુમાર પાસવાન વિરુદ્ધ પોકસો એકટની કલમનો ઉમેરો કરી જેલ હવાલે કર્યો હતો.
જે કેસમાં આરોપી સામે પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગ બનનાર સગીરા, તેણીના માતા-પિતા અને તપાસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. અને બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને ગોંડલ સેશન્સ જજ એમ.એ. ભટ્ટીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી અંબિકાકુમાર પાસવાનને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ઘનશ્યામભાઈ કે. ડોબરીયા રોકાયા હતા.