જિલ્લામાંથી ત્રણ મહિના દરમિયાન કેન્દ્ર સરકારને જીએસટીની 892 કરોડની આવક
જામનગર જિલ્લો જીએસટી ચૂકવવા માટે સૌરાષ્ટ્ર ભરમાં અગ્રેસર રહ્યો છે, અને ત્રિમાસિક ચુકવણા દરમિયાન સરકારને 892 કરોડની જીએસટી ની આવક થઈ છે. જામનગર જિલ્લો જી.એસ.ટી.ના સંદર્ભમાં રાજ્ય સરકાર માટે નકમાઉથ જિલ્લો છે. આ જિલ્લામાંથી સરકાર રોજ 10 કરોડ જેટલી આવક મેળવે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ ક્વાર્ટર એટલે કે એપ્રિલ-જૂન દરમ્યાન જામનગર જિલ્લામાંથી રાજ્ય સરકારને કુલ રૂૂ. 892 કરોડ જેટલી આવક થઈ હોવાનું ડેપ્યુટી કમિશનર હિતેષ દેસાઈએ જણાવ્યું છે.
જી.એસ.ટી. વિભાગ વધુમાં જણાવે છે કે, તાજેતરમાં વર્ષ 2018-19 અને 2021-22માં એસેસમેન્ટ કાર્યવાહીઓ અંતર્ગત કરદાતાઓને નોટિસ તથા ઈન્ટીમેશન મોકલવામાં આવ્યા છે. કરદાતાઓ યોગ્ય સમયમાં તેનો જવાબ પાઠવી દે પછી આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. આ કચેરી દ્વારા એમ્નેસ્ટી યોજના અંતર્ગત 391 અરજીઓ પૈકી 301 કેસમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. એમણે અંતમાં જણાવ્યું છે કે, એપ્રિલ અને મે-2025 દરમ્યાન વસુલાત કામગીરીઓ અંતર્ગત વેટ તથા જી.એસ.ટી. કાયદાઓ હેઠળ રૂૂ. 23 કરોડ જેટલી વસુલાત થઈ છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, વર્ષ 2024-25 ની સરખામણીએ વર્ષ 2025-26 ના પ્રથમ ત્રણ માસ દરમ્યાન આ વિભાગની જી.એસ.ટી. આવકમાં 26 ટકા વૃદ્ધિ થવા પામી છે.