હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના ચાર શખ્સો ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવ મંદિરમાં આજથી આશરે ત્રણ દિવસ પૂર્વે કોઈ શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વણાંક જોવા મળ્યો હતો. હિંમતનગર તરફની રહીશ એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સોએ રેકી કરી, અને શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું ખુલવા પામ્યું છે.
આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી સિલસિલા બંધ વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. આને અનુલક્ષીને વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય ત્રણ મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતું.
જુદા જુદા બે વાહનોમાં અહીં આવીને આ તમામ શખ્સો હર્ષદ ખાતે રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. ગઈકાલે શિવરાત્રીના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર (જી. સાબરકાંઠા) ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી.
આમ, ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી ચોરી કે જે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી. જે પડકારરૂપ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ બનાવની ગંભીરતા પારખી અને ડીવાયએસપી, એલસીબી અને એસ.ઓ.જી.ના તમામ ચુનંદા અધિકારીઓની ટીમ સાથે 'સીટ'ની રચના કરવામાં આવી હતી.
આ પ્રકરણમાં પોલીસ સ્ટાફના ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી ચોરાયેલા શિવલિંગ અને ચાર આરોપીઓને ઝડપી લેવામાં જિલ્લા પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી હતી.