કડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યો
કડી કેનાલ નજીક મળેલી લાશને નગરપાલિકાની કચરાગાડીમાં હોસ્પિટલે લાવવામાં આવ્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલા ભરવા અને કડી પાલિકાના પ્રમુખ તથા કારોબારીને તાત્કાલીક સસ્પેન્ડ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા પ્રવકતા હેમાંગ રાવલે માંગણી કરી છે.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે અખબારી યાદીમાં જણાવ્યું છે કે, "ગુજરાતમાં કડી નગરપાલિકામાં કેનાલ નજીક એક મૃતકની લાશ મળી આવેલ હતી અને મૃત્યુ પામેલ દિવંગતની લાશને કુંડાળ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી હતી. ઉપરોકત વિષયે માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. મૃતકની લાશને નગરપાલિકા પ્રશાસન દ્વારા કચરાના ડબ્બામાં લાવવામાં આવી હતી અને નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે દેશનો નાગરિક મૃત્યુ પામ્યો હોય અને કચરાના ડબ્બામાં લાશ લવાઈ હોય તેવી આ સૌપ્રથમ ઘટના જોવા મળેલ છે. એક તરફ ગુજરાત સરકાર આરોગ્ય બાબતે મોટી મોટી ડીંડકો મારે છે. 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા સમગ્ર ગુજરાતમાં છે તેવી ડંફાસોનો હવે કડી નગરપાલિકામાં બનેલી આ ઘટનાથી અંત આવી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આવું તો અનેક વાર બનેલું છે કે જેમાં મૃતકોની લાશને કચરાના ડબ્બામાં વહન કરવામાં આવે છે.
આ બાબતે સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરતા તેઓ એ જણાવ્યું હતું કે, સારું હવે પછી કચરાના ડબ્બામાં લાશને નહીં લાવવામાં આવે. આમ કરીને તુમાખીભર્યા જવાબો આપીને દેશના નાગરિકના મોતનો મલાજો પણ સચવાયો નહીં તે અત્યંત ગંભીર બાબત છે. કડી નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ મળે છે પરંતુ મૃતકોને લાવવા માટે શબવાહિનીની પણ વ્યવસ્થા જો ના થઈ શકે તો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખને અને તેની કારોબારીને તાત્કાલિક રીતે ગુજરાત સરકાર સસ્પેન્ડ કરે તો જ દાખલો બેસશે.