ઝાલાવાડના ખનીજ માફિયાઓ પાસેથી રૂા. 300 કરોડ વસૂલાશે
ચોટીલાના પ્રાંત અધિકારીએ થાન અને મુળી તાલુકાના અલગ-અલગ સર્વેની 377 જમીનમાંથી 431 કૂવા પરથી કાર્બોસેલનું ગેરકાયદે ખનન ઝડપી પાડયું હતું. ત્યારે હવે ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ પાસેથી રૃા.300 કરોડની વસૂલાત કરવામાં આવશે. તેમજ ભૂમાફિયાઓને જમીનમાં બોજો દાખલ કરી ખાલસા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઝાલાવાડના ઇતિહાસમાં ગેરકાયદે ખનનના ગુનામાં આ સૌથી મોટી વસૂલાત છે.સુુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તાર માર્ચ મહિનમાં ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમે રેઈડ કરી 247 કૂવામાંથી ખનન થતું ઝડપી પાડયું હતું. ત્યાર બાદ મુળી તાલુકાના વગડીયા, ઉમરડા, કોટડા, ખંપાળીયા, વિજળીયા સહિતના ગામોમાં થોડા દિવસો પહેલા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની ટીમે ગેરકાયદેસર કાર્બોસેલના ખનન અંગે રેઈડ કરી હતી અને કરોડોનો મુદ્દામાલ કબજે કરી ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ ખનન કરતા ભૂમાફિયાઓની યાદી પણ જાહેર કરી હતી. આ યાદીમાં જાહેર કરેલા તમામ ભૂમાફિયાઓ સામે કડક વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કુલ રૃા.300.16 કરોડ જેટલી વસુલાત ભૂમાફિયાઓ પાસેથી કરવામાં આવશે. જેમાં અલગ-અલગ ગામોના કુલ 377 સર્વે નંબરોમાં આવેલ 431 કૂવાઓ પરથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપાયું હતું. આ ઉપરાંત ગેરકાયદે કાર્બોસેલનું ખનન કરનાર ભૂમાફિયાઓને જમીનમાં બોજો દાખલ કરી તમામ જમીનો સરકાર ખાલસા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓએે આતંક મચાવતા ચોટીલના પ્રાંત અધિકારી સહિતની ટીમ સતત દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. થાન તાલુકાના જામવાડી અને ભાડુલા વિસ્તારમાં ખનિજ ચોરી પર દરોડા બાદ કલેક્ટર અને ચોટીલના પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરી અટકાવવા સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહેસૂલી ચોકી ઉભી કરાઈ છે.