સરકારી નોકરી આપવાનું કહી વઢવાણના નિવૃત્ત શિક્ષક સાથે 14 લાખની છેતરપિંડી
વઢવાણ નવાદરવાજા બહાર રહેતા 62 વર્ષના એ.પી. જોષી 2021માં ફરજ નિવૃત્ત થયા હતા. હાલ આ નિવૃત્ત શિક્ષક ખોખરા વિસ્તારમાં રહે છે. એકાદ વર્ષ પહેલા તેઓ ગાંધીનગર ગયા હતા. ત્યાંથી અમદાવાદ આવવા માટે પથિકાશ્રમ બસ સ્ટોપે બસની રાહ જોઇને બેઠા હતા. આ સમયે આવેલા યુવાને પોતાનું નામ વનરાજસિંહ હઠીસીંગ રાઠોડ હોવાનું તથા તે હાલ ગાંધીનગરમાં રહેતા અને મૂળ મૂળી તાલુકાના કળમાદના વતની હોવાનું જણાવ્યું હતું. તેના સાહેબની સહીથી ગાંધીનગર મનપામાં સેનેટરી ઇન્સ્પેક્ટર અને સચિવાલયમાં ક્લાર્કના ઓર્ડર થાય છે તેમ કહી કોઇને નોકરીએ રખાવા હોય તો કહેજો કહી મોબાઇલ નંબર આપ્યો હતો. બાદમાં એ.પી. જોષીએ સગા સંબંધીઓને સરકારી નોકરીએ રાખવા વનરાજસિંહને વાત કરી હતી. ઇન્ફોસીટીમાં મળવા જઇ રૂૂ. 14 લાખ રોકડા અને રૂૂ. 1 લાખ ઓનલાઈન આપ્યા હતા.
બાદમાં નોકરીના ઓર્ડર નીકળતા કોઇનું નામ ન આવતા પૈસા પરત માંગ્યા હતા. રૂૂપિયા પરત ન મળતા પોલીસમાં અરજી કરાતા વનરાજસિંહે 1 લાખ પરત આપ્યા હતા. એ.પી.જોષીએ ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકે વનરાજસિંહ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.