રાજકોટની R.K. યુનિ.ના બે વિદ્યાર્થીના અપહરણ બાદ છુટકારો
એક માસ પૂર્વે થયેલા અકસ્માતના ઝઘડાનો ખાર રાખી પાંચ શખ્સો કારમાં ઉપાડી ગયા, દોઢ લાખ આપવા તૈયાર થતાં કોલેજ પાસે છોડી દીધો
રાજકોટનાં ભાવનગર હાઈ-વે પર આવેલ આર.કે.યુનિવર્સિટીમાં બી.એસ.સી.માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગરમાં રહેતા વિદ્યાર્થી અને તેના મિત્રને અગાઉ થયેલા ઝઘડામાં કરેલા સમાધાનમાં ખાર રાખી પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી રૂા.દોઢ લાખની ખંડણી માંગી હતી. આ બનાવમાં વિદ્યાર્થીએ ખંડણી આપવાની તૈયારી બતાવતાં અંતે તેની મુક્તિ થઈ હતી. આ બનાવ અંગે આજી ડેમ પોલીસ મથકમાં જંગલેશ્ર્વરના મુસ્લિમ શખ્સ સહિત પાંચ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે તેની ધરપકડ કરવા તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.3માં રહેતા હાઈબોન્ડ સિમેન્ટમાં નોકરી કરતાં માનસિંગભાઈ વાઢેરના પુત્ર કૃણાલ માનસિંગ વાઢેર (ઉ.19) કે જે આર.કે.યુનિવિર્સટી રાજકોટ ખાતે બી.એસ.સી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોય તેને આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જંગલેશ્ર્વરના મુસ્તાક તથા વત્સલ જીતુ વેકરીયા, ગૌતમ અને મંગલ પરમાર તથા એક અજાણ્યા શખ્સ એમ પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો કૃણાલનો મિત્ર ધ્રુવીલ પરમારને આર.કે.યુનિવર્સિટીનાં છાત્ર સિબ્તેન હેરજાના મિત્ર સાથે એકસીડેન્ટ થયું હોય જે વખતેના સમાધાનમાં ધ્રુવીલ પરમાર તરફે કૃણાલ અને સામાપક્ષે સિબ્તેન હેરજા મળ્યા હતાં અને સમાધાન થયું હતું. આ ઘટના બાદ એક મહિના પછી ગઈકાલે બપોરે કૃણાલ અટીકા કાર નં.જીજે.3.એમ.એચ.5148 લઈને ગોંડલથી તેના રાજકોટ રહેતા મિત્ર પ્રિયાંશુ રાઠોડ સાથે આર.કે.યુનિવર્સિટીએ આવ્યો હતો ત્યારે મુસ્તાક અને વત્સલ, ગૌતમ, મંગલ અને અજાણ્યા શખ્સે કૃણાલની અર્ટીકાની ચાવી તેના મિત્ર પાસે હતી તે પડાવી લીધી હતી અને પ્રિયાંશુ અને કૃણાલ જ્યારે ચાવી લેવા આર.કે.યુનિવર્સિટીના ગેઈટ પાસે ગયા ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા મુસ્તાક સહિતના શખ્સોએ કૃણાલ અને પ્રિયાંશુને ધરાર કારમાં બેસાડી દીધા હતાં. જો કે ત્યારબાદ પ્રિયાંશુને ઉતારી દીધો હતો. પરંતુ કૃણાલને જંગલેશ્ર્વર તેમજ ગઢકા રોડ આસપાસ કારમાં ફેરવ્યો હતો અને અકસ્માતના સમાધાનમાં ધ્રુવીલ પરમારની તરફેણ કરવા બાબતે રૂપિયા દોઢ લાખની ખંડણી માંગી ત્યારે જ કૃણાલને છોડવાની તૈયારી બતાવી હતી.
કૃણાલના અપહરણ અંગેની જાણ તેના બનેવી તથા ફૈબાના પુત્રને થતાં તેનો ફોન ઉપર સંપર્ક કર્યો ત્યારે મુસ્તાક સહિતના શખ્સોએ તેને ધમકાવીને અપહરણ નહીં થયાનું ફોન ઉપર વાત કરી હતી. કૃણાલને અલગ અલગ સ્થળે કારમાં ફેરવીને તેની પાસે દોઢ લાખ રૂપિયા ખંડણી માંગી હતી જે ખંડણી આપવાની તૈયારી બતાવી ત્યારે તેને પરત કોલેજના પંટાગણમાં લાવીને છોડી મુકયો હતો તેમજ મંગલ પરમારે કૃણાલના ફોનમાંથી યુપીઆઈ આઈ.ડી.અને પાસવર્ડ મેળવી ભારતીબેન પરમારના એકાઉન્ટમાં રૂા.200 ગુગલ પેથી ટ્રાન્સફર કરી લીધા હતાં તેમજ કૃણાલની અર્ટીકા કારમાં પણ નુકસાન કર્યું હતું. આ મામલે કૃણાલે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ટોળકીને પકડી લેવા વધુ તપાસ શરૂ કરી છે.
છાત્રને ધમકાવી દોઢ લાખ ઉછીના લીધાનો ખોટો વીડિયો બનાવ્યો
આર.કે.યુનિવર્સિટીના બી.એસ.સી.ના છાત્ર કૃણાલ માનસિંગ વાઢેરનું જંગલેશ્ર્વરનાં મુસ્લિમ શખ્સ અને આર.કે.યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સહિત પાંચ શખ્સોએ તેનું અપહરણ કર્યા બાદ જંગલેશ્ર્વરમાં લાવવામાં આવ્યો હતો. સ્કોર્પિયોકારમાં ઉઠાવી કૃણાલને રાજકોટ લઈ આવ્યા બાદ તેને ધમકાવીને મુસ્તાક સહિતના શખ્સોએ વિડિયો રેકોર્ડ કરી ફોનમાં પોતાને દોઢ લાખ રૂપિયા છીના લીધા હોય તે પરત આપવાનું ખોટુ વિડિયો રેકોર્ડિંગ કરાવ્યું હતું અને ત્યારબાદ તેને આર.કે.યુનિવર્સિટીના ગેઈટ પાસે પરત મુકી દીધો હતો. અકસ્માતના બનાવમાં મિત્રની તરફેણ કરવા બાબતે કૃણાલનું અપહરણ કરીને માર માર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.