લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડ
જામનગર ના એક રીક્ષા ચાલક યુવાનના લૂંટેરી દુલ્હન અંગેના ચકચારી પ્રકરણમાં લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બેની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી રૂૂપિયા 30,000 ની રોકડ રકમ કબજે કરી લેવામાં આવી છે.
જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાન કે જેના મહારાષ્ટ્ર ની એક યુવતી સાથે
લગ્ન કરાવી આપવા માટે 1.80 લાખ માં સોદો થયો હતો. અને જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરી અને કાલાવડના પંજેતન નગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલાએ મહારાષ્ટ્રના આકોલાની રોહિણી મોહનભાઈ હિંગલે સાથે કોર્ટ મેરેજ કરાવી દીધા હતા, અને તે જ દિવસે રોહિણી ને દોઢ લાખ રૂૂપિયા જ્યારે મુમતાજ બેન અને યુનુસ ભાઈ ને પંદર પંદર રૂૂપિયા આપ્યા હતા.
ત્યારબાદ જામનગર પરત ફર્યા હતા. 18 મી તારીખે રોહિણી 50,000 રૂૂપિયામાં મંગળસૂત્ર લેવા માટે જામનગરના દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાને રફુચક્કર થઈ ગઈ હતી, અને આખરે ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જે પ્રકરણમાં સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન.એ. ચાવડા ના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ તથા રાઇટર ભવ્યદીપસિંહ પરમાર વગેરેએ જામનગરના વચેટીયા આરોપી યુનુષભાઈ મન્સૂરી ઉપરાંત કાલાવડ ની મુમતાજ બેન ને જામનગર બોલાવી અટકાયત કરી લીધી છે, અને બન્ને પાસેથી પંદર પંદર હજાર મળી કુલ 30,000 ની રોકડ કબજે કરી છે. ઉપરાંત પોલીસ ટુકડીએ લૂંટેરી દુલહનને શોધવા માટે તપાસનો દોર મહારાષ્ટ્ર સુધી લંબાવ્યો છે.