ચરાડવામાં દુષ્કર્મ કેસમાં મામા-ભાણેજને 10 વર્ષની સજા
ગુરૂકુળમાં એડમિશન માટે આવેલી યુવતી પર દુષ્કર્મ આચરી ધમકી આપવાના કેસમાં કોર્ટનો ચૂકાદો
વર્ષ 2016 માં એક યુવતી ને નર્સિંગનો અભ્યાસ કરવો હોવાથી એડમીશન મેળવવા હળવદના ચરાડવામાં આવેલા ગુરુકુળમાં ગઈ હતી જે તે વખતે ગુરુકુળના સંચાલક લલિત મકનભાઈ પટેલ હાજર હોય જેથી એડમીશન ની વાત ચિત માટે ઓફિસમાં જતા લલિતે ગુરુકુળના નિયમ સમજવાના નામે વાતચીત શરુ કરી હતી બાદમાં અચાનક તે છાત્રાની પાસે આવીને બેસી ગયો હતો જેથી જે તે વખતે છાત્રા એ દુર બેસવાનું કહેતા એડમીશન લેવું હોય તો આવું તો રહેશે તેમ કહી તેની સાથે બળજબરી કરી હતી જેથી ભોગ બનનાર છાત્રાએ બચાવનો પ્રયાસ કરતા આરોપીએ પોતાની રીતે બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પોતાની લાગવગ ઉચી હોવાનું કહી કોઈને કહેશે તો જિંદગી બગડી નાખશે તેવી ધમકી આપી બીજા દિવસે ફરી આવવાનું કહી ધમકાવી હતી જેથી બદનામીના ડરે ફરી છાત્રા ત્યાં પહોચી હતી જોકે તે સમયે લલિત પટેલ હાજર ન હતો પરંતુ તેનો ભાણેજ અલ્કેશ મણીલાલ પટેલ હાજર હતો તે આ ઘટનાથી જાણતો હોવાથી તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને બહાર મોકલી દીધો હતો બાદમાં તેને આ છાત્રાને દબાવવા પ્રયાસ કર્યો અને મારા મામા સાથે નહી પણ મારી સાથે સંબંધ રાખ હું તને ગુરુકુળનો બધો ચાર્જ આપી દઈશ તેમ કહી પહેલા લાલચ આપી હતી જોકે છાત્રા એ મનાઈ કરતા ગુસ્સે ભરાઈ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું આ દરમિયાન જેમ તેમ કરી ત્યાંથી નીકળી ગઈ હતી જોકે બન્ને આરોપીઓએ આ રીતે ધમકી આપતા યુવતીએ આરોપીઓ વિરુદ્ધ 2018માં હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી વર્ષ 2019માં ચાર્જસીટ ફાઈલ કરતા કેસ મોરબી ની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તબદીલ થઈ ગયો હતો જ્યાં સરકારી વકીલ નીરજ ડી. કારિયાએ પીડિત પરિવાર વતી દલીલો કરી હતી તેમજ બન્ને પક્ષ દ્વારા ઘટનાને લગતા સંયોગિક પુરાવાઓ રજુ કર્યા હતા તો ઘટના સાથે જોડાયેલ સાક્ષીઓના નિવેદન લેવાયા હતા બન્ને પક્ષની દલીલો પુરાવા તેમજ સાક્ષીઓના આધારે અધિક સત્ર ન્યાયાધીશ કે.આર.પંડ્યાએ બન્ને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને બન્નેને 10 વર્ષની કેદ ફટકારી છે આ ઉપરાંત ભોગ બનનાર યુવતીને રૂૂ 4 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.