લાભાર્થીઓનું સરકારી આવાસો ભાડે ચડાવવાનું મહાકૌભાંડ
જામનગરમાં ઘરનું ઘરના નામે મહાનગરપાલિકાએ હજારો આવાસો બનાવ્યા છે. હજારો એવા લોકોએ આ આવાસો મેળવી લીધાં છે જેમને આવાસની જરૂૂરિયાત જ નથી અને તેઓ શહેરમાં અન્ય જગ્યાઓ પર ઘરનું ઘર ધરાવે છે. ટૂંકમાં લાભાર્થીઓના નામે લાગતા વળગતા લોકોએ આવાસો કબજે લઈ લીધાં છે. આવા હજારો આવાસધારકોને આવાસની જરૂૂરિયાત ન હોય તેઓએ આ આવાસો ભાડે આપી દીધાં છે. આવા નગરજનો આવાસ યોજનાઓના લાભાર્થીઓ નથી, રોકાણકારો છે, તેઓ આ આવાસોમાંથી ભાડાની નિયમિત આવકો મેળવી રહ્યા છે. અચરજની વાત એ છે કે, કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓ આ બાબતની ચિંતાઓ કે ચેકિંગ કરતાં નથી, હજારો આવાસો ભાડે અપાયા હોવા છતાં મહાનગરપાલિકા કરદાતા નગરજનોના કરોડો રૂૂપિયાનો ખર્ચ કરી નવી નવી આવાસ યોજનાઓ બનાવી રહ્યા છે.
મહાનગરપાલિકા ચેકિંગ કરે તો આ પ્રકારના ભાડે અપાયેલા અથવા તાળું લગાવીને રાખી દીધેલાં આવાસોની ખરી હકીકતો બહાર આવવા પામે. પરંતુ મહાનગરપાલિકાએ કયારેય આ પ્રકારની ચકાસણીઓ કરી હોવાનું બહાર આવેલ નથી. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના હજારો આવાસો કરોડો રૂૂપિયાના ખર્ચથી ખડકવામાં આવે છે, જેનો પ્રચાર ’ઘરનું ઘર’ તરીકે કરવામાં આવે છે અને આવાસ યોજનાઓના ગુણગાન ગાવામાં આવે છે, પરંતુ જાણકારોના મતે આ એક તોતિંગ કૌભાંડ હોય, મહાનગરપાલિકાના શાસકો અને તંત્ર, આવાસોના વેચાણ બાદ આવાસધારકો પ્રત્યેની તમામ જવાબદારીઓમાંથી રીતસર હાથ ખંખેરી નાંખે છે. જેને કારણે હજારો આવાસધારકો આજે બિચારાં તરીકે જીવવા મજબૂર હોવાની સ્થિતિ જોવા મળે છે. રાજ્યના અન્ય શહેરોની માફક જામનગરમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ અને મુખ્યમંત્રી આવાસ યોજનાઓના નામે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન સંખ્યાબંધ આવાસો ખડકી દેવામાં આવ્યા છે.
આ હજારો આવાસોમાં લાખો કરદાતા નગરજનો વસવાટ કરે છે, આ લાખો નગરજનો બિચારાં તરીકે જીવવા મજબૂર છે કારણ કે, આ આવાસો ઉભી બજારે ડ્રો ના નામે વેચાણ કરી નાખ્યા બાદ કોર્પોરેશન આ લાખો આવાસધારકો પ્રત્યેની કોઈ પણ જવાબદારીઓ નિભાવતું નથી. જામનગરમાં હજારો આવાસો એવા છે જ્યાં પીવાના પાણીના ધાંધિયા છે. હજારો આવાસો એવા છે જ્યાં સ્વચ્છતાનો અભાવ છે, ગંદકી પારાવાર છે. હજારો આવાસો એવા છે જ્યાં અવરજવર માટેના રસ્તાઓ ભંગાર છે. હજારો આવાસો એવા છે જ્યાં સ્ટ્રીટ લાઈટની સુવિધાઓ નથી, અંધારા છે. હજારો આવાસ એવા છે જ્યાં જૂગાર રમાય છે, દારૂૂ પિવાય છે, દેહના સોદા થાય છે. હજારો આવાસ એવા છે જે ભાડે આપી દેવામાં આવ્યા છે.
હજારો આવાસોમાં સલામતીના નામે મીંડુ છે. સંખ્યાબંધ આવાસો એવા છે જેના ધારકો દ્વારા મેન્ટેનન્સ માટે કોર્પોરેશનમાં લાખો રૂૂપિયા જમા કરાવવામાં આવ્યા છે, આ નાણાંનો નથી હિસાબ આપવામાં આવતો, અને આવાસધારકોને સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. આ પૈકી એક પણ બાબતે કોર્પોરેશન આવાસધારકોને જવાબ આપતું નથી. મોટાભાગના આવાસોમાં લિફટની સમસ્યાઓ પણ મોજૂદ છે. સંખ્યાબંધ આવાસધારકો અવારનવાર કોર્પોરેશનમાં આવેદનપત્ર આપે છે પરંતુ સ્લમ વિભાગના અધિકારીઓથી માંડીને કમિશનર સુધીના અધિકારીઓ કે શાસકપક્ષ આવાસધારકોની વાત સાંભળવા પણ રાજી નથી.
સરકારની ઘરનું ઘર ની યોજના સારી લેખી શકાય પરંતુ આવાસો આવાસધારકોને આપી દીધાં બાદ અને આપતી વખતે પણ મહાનગરપાલિકા પોતાને નિભાવવાની થતી કોઈ જ જવાબદારીઓ નિભાવતું ન હોય, હજારો આવાસધારકોના લાખો પરિવારજનો ભારે હાલાકીઓ વેઠી રહ્યા છે. કોર્પોરેશન પાસેથી આવાસ ખરીદનારાઓ સારી રીતે, શાંતિથી જીવી શકે છે કે કેમ ? એ પ્રશ્નનો જવાબ મેળવવાની આટલાં વરસોમાં કોઈએ, કયારેય તસ્દી લીધી હોય એવું આટલાં વરસોમાં કયારેય જોવા મળેલ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશન આ તમામ આવાસધારકો પાસેથી તમામ પ્રકારના વેરાઓ અને ચાર્જીસ વસૂલે જ છે.
મહાનગરપાલિકાના પેટમાં પાપ!
શહેરમા સરકારની આ યોજનાનો ગેરલાભ ઉઠાવાતો અટકાવવા પગલા લેવા જોઈએ. પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના નામથી કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ખરેખર તો આવાસના મુખ્ય દરવાજા પાસે આવાસના દરેક ફલેટધારકના નામો અને તેને ફાળવવામાં આવેલાં ફ્લેટના તથા બ્લોકના નંબરો લખવા જોઈએ અને આ પ્રકારના નંબરો તથા લાભાર્થીઓના નામ સાથેની તકતી દરેક ફ્લેટ પર લગાવવી જોઈએ. આટલી પારદર્શિતા દાખવવાને બદલે મહાનગરપાલિકા આવાસ ફાળવણીના નામો સહિતની વિગતો છૂપાવી રહી હોય, મહાનગરપાલિકાના પેટમાં પાપ હોવાનું સમજાઈ રહ્યું છે.
આવાસ યોજનાના નામે લખલૂટ ’કમાણી’
શહેરના વિવિધ વિસ્તારોમાં ટોચના બિલ્ડર લાખો મીટર જમીનો ધરાવતા હોય છે, જ્યાં સુધી આવા વિસ્તારોમાં નોંધપાત્ર વસતિ ન થાય ત્યાં સુધી, આવી જમીનોના ધાર્યા ભાવ ન મળે. આ ગણતરીઓ સાથે બિલ્ડર લોબી અને કોર્પોરેશન જેતે વિસ્તારમાં આવાસ યોજના માટેના ચક્રો ગતિમાન કરે અને પછી કોર્પોરેશન નાં અધિકારીઓ, શાસકો, બિલ્ડર્સ તથા કોન્ટ્રાક્ટર સહિતના બધાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લખલૂટ ’કમાણી’ કરે. આ પ્રકારની વસતિને કારણે જેતે વિસ્તારોમાં જમીનોના ભાવો સ્વાભાવિક રીતે જ ઉંચકાય. જાણકારોના મતે આવાસ યોજનાઓ પાછળનું ખરૂૂં ગણિત આ છે, ઘરનું ઘર એવું નામ બોલવામાં રૂૂપાળું લાગે, ખરેખર તો એ શિકાર પકડવાનું પાંજરૂૂં છે.