રાજકોટમાં 40 લાખનો વીમો પકવવાનું કૌભાંડ
વીમા કંપનીએ કરેલી તપાસમાં હેલ્થ વીમો પકવવા મેડિકલના નકલી કાગળો ઉભા કર્યાનું ખુલ્યું
તબીબ અને વીમા પોલીસી ધારક સહિતના વિરુદ્ધ ગુનો નોંધાયો
રાજકોટમાં આઈસી આઈ સીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં નકલી મેડીકલ સર્ટી અને રિપોર્ટના આધારે 40 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સનો ક્લેઈમ મેળવવા માટે રાજકોટની સહયોગ હોસ્પિટલના ડોક્ટર અને વિમા ધારક તથા સિવિલ હોસ્પિટલના સહયોગ ઈમેજીંગ સેન્ટરના કર્મચારીઓએ કાવતરું રચ્યું હોય જેનો વિમા કંપનીના અધિકારીઓએ કરેલી તપાસમાં ભાંડો ફુટતા આ મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ અમદાવાદના ગ્રીન એકર્સ પ્રહલાદનગરમાં રહેતા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના તપાસનીશ ક્લેમ અધિકારી ડો. રશ્મિકાંત જયંતિલાલ પટેલની ફરિયાદના આધારે રાજકોટના માધાપર ચોકડી પાસે રહેતા સમર્પણ હોસ્પિટલના ડોક્ટર અંકિત હિતેશ કાથરાણી તથા માધાપર ચોકડી પાસે એમપાયર કેવલમ કિંગડમમાં રહેતા વિમા પોલીસી ધારક મયુર કરશનભાઈ છુંછાર તથા તપાસમાં જે ખુલે તે તમામના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઈન્સ્યોરન્સના વિમા ધારક મયુર કરશનભાઈ છુંછારે પોતાને પેરેલીસીસ હોવાનું જણાવી 40 લાખનો ઈન્સ્યોરન્સનો ક્લેમ કર્યો હતો. જે બાબતે વિમા કંપનીએ તપાસ કરાવતા કેટલાક મુદદ્દાઓ શંકાસ્પદ લાગ્યા હતાં. અને આ વિમા ધારકે 40 લાખનો ઈન્સ્યોરન્સ ક્લેમ ઉપજાવી કાઢવા ખોટો ક્લેમ રજૂ કર્યાનું ખુલ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ડો. અંકિત કાથરાણી તથા સમર્પણ હોસ્પિટલ રાજકોટના જવાબદાર અધિકારીઓ ગુનાહિત કાવતરું રચીને 40 લાખનો પોલીસીનો ક્લેમ મેળવવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેની સહયોગ ઈમેજીંગ સેન્ટરમાં એમઆરઆઈ, એન્જ્યોગ્રાફી તથા એમઆરઆઈ બ્રેઈન રજૂ કરી સમર્પણ હોસ્પિટલના ડો. મેહુલ સોલંકીએ જે સારવારના કાગળો રજૂ કર્યા હતાં તેમાં ડાબી બાજુ પેરેલીસીસની અસર હોવાનું જણાવ્યું હતું જ્યારે ડો. મનોજ સીડા દ્વારા મયુર છુંછારના જે કાગળો રજૂ કર્યા તેમાં વિરોધાભાષી વિગતો રજૂ કરતા આ મામલે તપાસમાં 40 લાખનો ઈન્સ્યોરન્સ મેળવવા માટે ખોટા એમઆરઆઈ રિપોર્ટ કર્યાનું ખુલ્યું હતું. જેમાં સહયોગ હોસ્પિટલના જવાબદાર ડોક્ટરો તથા કર્મચારીઓ અને ડો. અંકિત હિતેષ કાથરાણી તેમજ વિમા પોલીસી ધારક મયુર છુંછાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિમા કંપની દ્વારા મયુર છુંછારના ઘરે તપાસ કરતા તે પોતે પેરાલીસીસના દર્દી જ નહીં હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી આ મામલે વિમા કંપનીએ કાર્યવાહી કરી છે.
સિવિલ હોસ્પિટલમાં ખોટા MRI રિપોર્ટ તૈયાર કરાવ્યા હતાં
વીમા પોલીસી ધારક મયુર છુંછારને પેરાલીસીસના સારવારના જે કાગળો તથા એમઆરઆઈ રજૂ કર્યા હતાં જેમાં ભારે વિસંગતતા હતી તેમજ મયુરે રજુ કરેલા આ બોગસ એમઆરઆઈ, એન્જ્યો ગ્રાફી તથા એમઆરઆઈ બ્રેઈનના બોગસ રિપોર્ટ ઉભા કરાયા હોય તે રિપોર્ટ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં આવેલ સહયોગ ઈમેજીંગ સેન્ટર દ્વારા કરવામાં આવ્યા હતાં. જેમાં આ બોગસ વિમા પકવવાના કૌભાંડમાં સિવિલ હોસ્પિટલના સહયોગ ઈમેજીંગ સેન્ટરમાં સ્ટાફની પણ સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે. તપાસ દરમિયાન આ મામલે જો તેમની સંડોવણી આવશે તો સહયોગ ઈમેજીંગ સેન્ટરના જવાબદારોની પણ ધરપકડ થશે.