ડોળાસાના કાણકિયામાં સિંહણ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી બંન્ને પગ ખાઇ ગઇ
ડોળાસા નજીકના કાણકીયા ગામે રૂૂપેણ નદીના સામે કાંઠે આવેલા નવાપરા વિસ્તારમાં ઘરના ફળિયા ઘૂસી સિંહણે વૃધ્ધાને ફાડી ખાતાં લોકોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાવની વિગત એવી છે કે ગીર ગઢડા તાલુકાના કાણકીયા ગામે નવાપરા વિસ્તારમાં પૂરણદાસ આત્મારામ દેશાણી અને તેમના પત્ની કમળાબેન ત્રણ વિવાહીત પુત્રો અને તેમનો પરિવાર સયુંકત કુટુંબમાં રહે છે. વહેલી સવારના આશરે ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન કમળાબેન (ઉ.વ.59) જાગી ગયા અને ઘરનો દરવાજો ખોલી અને ફળિયામાં આવેલા બાથરૂૂમ તરફ જતા હતા. ઝાંખા પ્રકાશના કારણે તેમની સામે આવી રહેલી સિંહણ અને અને બચ્ચા નજરે ન ચડયા ન હતા.કમળાબેન સિંહણની નજીક પહોંચી જતા સિંહણે કમળાબેન પર જીવલેણ હુમલો કરતા ગળું પકડી લીધું અને થોડીવારમાં તેમનું મૃત્યુ થયું બાદ સિંહણ તેમનું શબ ફળિયામાં સો ફૂટ દૂર ઢસડી ગઈ અને અહી બંને પગ ખાઈને જતી રહી હતી.
સાડા ચાર વાગ્યે તેમના પુત્રવધૂ જાગ્યા હતા. તેણે જોયું તો દરવાજો ખુલ્લો હતો તેથી તેમ માન્યું કે માજી વોશ રૂૂમ ગયા છે. બાદ ફળિયામાં આવી નજર કરી તો માજીએ ઓઢેલી શાલ, લોહીનું ખાબોચિયું જોવા મળ્યું હતું. થોડે દૂર ચપ્પલ પડયા હતા. કંઇક અજુગતું બની ગયાની શંકા જતા ઘરના સભ્યોને જગાડયા હતા. સૌને શંકા ગઈ કે કોઈ જંગલી જાનવર માજીને ઢસડી ગયું છે. એટલે સૌ આજુબાજુમાં તપાસ કરવા લાગ્યા. આ દરમ્યાન એક ભાઈની નજર ફળિયામાં સામેના ભાગે નજર કરતા ત્યાં માજીનો પગ વગરનો મૃતદેહ નજરે ચડયો હતો.
તુરંત ગામના સરપંચને ફોનથી જાણ કરતા સરપંચના પ્રતિનિધિ તુરંત ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવીને ગીર પૂર્વ વન વિભાગ જશાધાર રેન્જને જાણ કરાતાં આરએફઓ એલ.બી.પરમાર સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂૂ કરી હતી. એક ટીમ સવારના સાત વાગ્યા આસપાસ કાણકીયા ઘટના સ્થળે પહોંચી હતી. ગીર ગઢડા પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાંજરૂૂ ગોઠવી માનવભક્ષી પ્રાણીને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરી છે.