ચેક પરત ફરવાના કેસમાં આરોપીની સજાના હુકમ સામે સ્ટે ફરમાવી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
ચેક રીર્ટન કેસમાં 4 વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ રૂૂ.2.88 કરોડનો દંડ ફટકારવામાં આવેલા હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ કરેલી અપીલ રદ કરી સેશન્સ અદાલતે ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખતા જેની હાઇકોર્ટમાં રિવિઝન દાખલ કરતા નીચેની અદાલતનો હુકમ સ્ટે કરી નિખિલ પુજારાને શરતોને આધીન જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના પેડક રોડ ઉપર રહેતા ભરત નાગજી તળાવીયા બેન્કે એકવાયર કરેલ પ્રોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવા વિશ્વાસમાં લઈ રૂૂપિયા દોઢ કરોડ ફરીયાદી પાસેથી મેળવી વીસ દિવસમાં કામ પુર્ણ કરવા વચન આપી કામ પૂર્ણ ન કરી રકમની ઉપરાણી કરતા લક્ષ્મીવિલાસ બેન્કનો બનાવટી લેટર આપી અને લેણી રકમ ચુકવવા ચેકો આપી ફરીયાદી પાસેથી બેન્ક સાથે વ્યવહાર કરવા લીધેલ કોરા સહી સિકકાવાળા લેટરપેડમાં રકમ ચુકવાઈ ગયેલનું ફોર્જ લખાણ લખી ફોર્જરી આચર્યા સબંધેની બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સિધ્ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારા વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
નિખિલ પુજારાએ ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત ચુકવવા આપેલ 72- 72 લાખના બે ચેકો પણ રીટર્ન થતા ભરત તળાવીયાએ આરોપી નિખિલ પુજારા વિરૂૂધ્ધ બંને ચેકો રીટર્ન સબંધે બે ફરીયાદો દાખલ કરેલ, જે કેસો ચાલી જતા ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડનો હુકમ કર્યો હતો. ઉપરોક્ત બન્ને કેસના સજા અને દંડના હુકમો સામે નિખીલ પુજારાએ સેશન્સ અદાલતમાં અપીલો કરી હતી. સેશનસ કોર્ટે બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડનો હુકમ કાયમ રાખી બંને અપીલો નામંજુર કરી હતી. સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં રિવીઝન દાખલ કરવામાં આવેલ.
જેમાં નિખીલભાઈએ રજુઆત કરેલી કે, મુળ ફરીયાદી જે રકમ ચેક આધારિત માંગે છે તેના માટે કોઈ કાનુની કરાર નથી. હાઈકોર્ટના અને સેશન્સ કોર્ટના ઓર્ડર મુજબ 25 ટકા જેવી રકમ ચાલુ કામે કાયદાના પ્રબંધ મુજબ કોર્ટમાં જમાં કરાવેલ છે. જેથી રિવીઝનમાં કાનુની મુદ્દાઓ સંકળાયેલ હોય નીચેની અદાલતનો હુકમ સ્ટે કરી વોરંટ સ્થગિત કરી જામીન મુક્ત કરવાની દલીલ ધ્યાને લઈ હાઈકોર્ટએ નીચેની અદાલતના સજાનો હુકમ સ્થગિત કરી, આરોપીને શરતોને આધિન જામીન મુકત કરવા અને રિવીઝન એડમીટ કરેલી છે. આ કેસમાં નિખીલભાઈ વતી એડવોકેટ તરીકે હાઈકોર્ટમાં બ્રિજ વિકાસ શેઠ, રાજકોટમાં વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, પ્રકાશ ભેડવા, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયેલ છે.