રાજકોટમાં બૂટલેગર સાથે જૂથ અથડામણ; યુવાનનું મોત,ચાર ઘાયલ
પાનની દુકાને ઝઘડો કરતા બૂટલેગરને છોડાવવા ગયેલ પિતા-પુત્ર સહિતના ઉપર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો
બૂટલેગર ટોળકીએ સરાજાહેર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરતા રાહદારીઓમાં પણ નાસભાગ મચી ગઈ
રાજકોટમાં હત્યાનો વધુ એક બનાવ બનતા પોલીસના કહેવાતા પેટ્રોલિંગ અને કોમ્બિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પીડીએમ ફાટક પાસે અગાઉ થયેલી જુની માથાકુટમાં બે જુથ આમને સામને આવી ગયા હતા જેમાં બુટલેગર ટોળકીએ પિતા-પુત્ર સહીત પાંચ વ્યકિતઓ ઉપર સામુહિક છરી- પાઈપ અને તલવારથી હુમલો કરી પથ્થરમારો કરતા ઈજા પહોચી હતી. આ બનાવના પગલે રાહદારીઓમાં પણ ભય વ્યાપી ગયો અને નાસભાગ મચી જવા પામી હતી.હુમલામાં ઘાયલ એક યુવાનનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ભક્તિનગર પોલીસે 9 શખ્સોની ટોળકી સામે હત્યાનો ગુનો નોધ્યો હતો.
આ ઘટનામાં રાજકોટના ઢેબરરોડ પરની ઢેબરકોલોનીમાં રહેતા વિકકી સુરેશ સોલંકીએ નોંધાવેલી ફરિયાદને આધારે ભક્તિનગર પોલીસે ભીમા બાબુ સોંલકી,પ્રકાશ બાબુ સોલંકી, ભીમના પુત્ર શૈલેશ ભીમા સોલંકી, નીલેશ ભીમા સોલંકી તેમજ અરવિંદ જાદવ, અનીલ રણછોડભાઈ, ધનાભાઇ માવજીભાઈ અને યોગેશ માવજી ભાઈનું નામ આપ્યું છે. ભક્તિનગર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિતાની કલમ 109(1), 118(2), 117, 118(1), 189(4) મુજબ ગુનો નોંધ્યો છે.
વીકી સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર વીકી અને સુરેશ સહિતના લોકો ઢેબરકોલોનીમાં રેલવે ફાટક પાસે આવેલ પાનની દુકાને ઉભા હતા ત્યારે રાજુ બાબુ સોલંકી અને લોહાનગરના રહેતા વિજય રામદાસ વચ્ચે ઝગડો ચાલતો હોય જેથી વીકી સહિતના મિત્રો ઝગડો નહી કરવા સમજાવવા ગયા હતા અને બન્નેને છુટા પડાવ્યા હતા. તેથી વીકી અને ભીમાના જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ભીમા રાજુ, પ્રતાપ, પ્રકાશ,બાબુ, તેમજ ભીમાના ત્રણ છોકરા સહીતના શખસો સાથે બોલાચાલી બાદ ત્યાંથી છુટા પડ્યા અને થોડીવાર બાદ ફરીથી મામલો બીચકયો હતો અને થોડીવાર બાદ પીડીએમ ફાટક પાસે સુરેશ દલા સોલંકી અને ભીમા રાજુના જુથ વચ્ચે સરાજાહેર મારામારી થઈ હતી. જેમાં ભીમા રાજુ ના જુથે સુરેશ સોલંકી સહીતના પર છરી-પાઈપ અને તલવારથી હુમલો કરી પથ્થરમારો કરતા રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ અને કેટલાંક વાહનોમાં તોડફોડ પણ થઈ હતી.
આ હુમલામાં સુરેશ દલા સોલંકી, અર્જુન સુરેશ, પ્રકાશ સોલંકી વિકી સુરેશ સોલંકી સહીત પાંચને ઈજા થઈ હતી. આ બનાવ અંગેની જાણ થતા ભકિતનગર, માલવીયાનગર સહીત શહેરભરની પોલીસને ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી. જોકે પોલીસ પહોચી તે પહેલા હુમલાખોરો નાસી છુટયા હતા.હુમલામાં ધવાયેલા હુમલામાં ઘાયલ સુરેશ દલાભાઈ સોલંકીનું સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જયારે , અર્જુન સુરેશભાઈ સોલંકી, પ્રકાશ સોલંકીને સારવારમાં દાખલ છે. મૃતક સુરેશ ત્રણભાઈ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરનો હતો.મૃતક સુરેશની મોટી બહેન લીલાબેન,જયાબેન છે અને તેનાથી નાના ભાઈ ભદાભાઇ અને બહેન આશાબેન અને નાનોભાઈ જેકી છે. સુરેશના મોતથી તેના પાંચ પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
હુમલામાં સુરેશ સોલંકીનું મોત થયાની જાણ થતા બનાવના પગલે હોસ્પિટલ ખાતે ટોળા ઉમટી પડતા હતા.સિવિલ હોસ્પીટલે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઈજાગ્રસ્તોના પરીવારજનોએ હુમલાખોર બુટલેગર ટોળકી તેમજ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.પોલીસે હુમલાખોરો સામે હત્યાનો ગુનોં નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.