કાળા તળાવમાં વૃધ્ધ ખેડૂત પર લુખ્ખાઓનો હુમલો, સુરતમાં તંગદિલી
સુરતથી 100 કારનો કાફલો રવાના, સાંજે વલભીપુરમાં જાહેરસભા, સ્ફોટક સ્થિતિ
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં ગુરુવારે સવારે 10 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની, જેણે સમગ્ર પંથકમાં રોષ ફેલાવ્યો છે. 74 વર્ષીય વૃદ્ધ ખેડૂત અરજણભાઈ રામજીભાઈ દિયોરા પર ત્રણ અસામાજિક તત્વો-રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારીએ કોદાળી અને લાકડીથી નિર્દય હુમલો કર્યો હતો. આ ઘટનાએ ગામલોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે અને પાટીદાર સમાજે ન્યાયની માગ સાથે એક મોટી જાહેરસભાનું આયોજન કર્યું છે.
અરજણભાઈ દિયોરા, જેઓ ધોરણ 6 સુધી ભણેલા છે અને તેમની પત્ની સાથે કાળાતળાવ ગામમાં રહે છે, તેઓ લિંડિયા નદીમાંથી ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા. આ દરમિયાન નાથાભાઈ ભીમાભાઈ ઉલવાએ તેમને માટી ભરવાની ના પાડી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને કહ્યું, આ માટી તારા બાપની છે? કેમ ભરે છે? અરજણભાઈએ જવાબ આપ્યો કે આ જાહેર નદી છે, જેમાંથી કોઈપણ માટી ભરી શકે છે. આ વાતથી રાજુ ઉલવા ઉશ્કેરાઈ ગયો અને તેણે કોદાળીના હાથાથી અરજણભાઈ પર હુમલો કર્યો. રાજુએ તેમના જમણા પગના પડાખા, બંને પગની પિંડી, બંને પગના સાથળ અને જમણા ખભા પર આડેધડ માર માર્યો. આ હુમલા દરમિયાન અરજણભાઈના મજૂરોએ વચ્ચે પડીને તેમને બચાવ્યા.
હુમલાખોરોએ જતાં જતાં ધમકી આપી હતી. પછી લિંડિયા નદીમાં માટી ભરવા આવીશ તો જીવતો નહીં રહેવા દઈએ. ઘટના બાદ મજૂરોએ અરજણભાઈને ટ્રેક્ટરમાં ઘરે લઈ જઈને 108 એમ્બ્યુલન્સ બોલાવી, અને તેમને સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઈ જવાયા. પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે દુખાવો વધતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અરજણભાઈએ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં રાજુ ઉલવા, નાથા રબારી અને મામેયા રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વીડિયો પુરાવાના આધારે તપાસ શરૂૂ કરી છે.
આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.આ ઘટનાના પડઘા સુરત સુધી પહોંચ્યા છે. પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે ગતરાત્રે સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર સેવા સંઘ દ્વારા એક ફાર્મ હાઉસ ખાતે સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 2000થી વધુ પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં સમાજના અગ્રણીઓ વિજયભાઈ માંગુકિયા, અભિનભાઈ કળથિયા, અલ્પેશભાઈ કળથિયા, અશોકભાઈ અધેવાડ સહિત અન્ય નેતાઓએ ભાગ લીધો.
બેઠકમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં વધતા ભયના માહોલને રોકવા સમાજે એક થવાનું આહ્વાન કરવામાં આવ્યું. આ બેઠક બાદ 100થી વધુ કારનો કાફલો કાળાતળાવ ગામ તરફ રવાના થયો, જ્યાં આજે, 8 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 5 વાગ્યે એક મોટી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આસપાસના ગામો અને સુરતના પાટીદારો મોટી સંખ્યામાં હાજર રહેશે.આજે સાંજે કાળાતળાવ ગામમાં યોજાનારી જાહેરસભા દરમિયાન પાટીદાર સમાજ આ ઘટનાને લઈને વધુ ચર્ચા કરશે અને ન્યાયની લડતને આગળ વધારવા માટે રણનીતિ ઘડશે. આ ઘટના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષા અને સમાજની એકતાની જરૂૂરિયાતને ઉજાગર કરે છે.