જાલસીકાના ખેડૂતોને પાયમાલ કરવાનું GETCOનું ષડયંત્ર
સરકારી ખરાબાની જમીનમાંથી 220 કે.વી.ની લાઈન પસાર કરવાના બદલે લીલાછમ ખેતરો ખતમ કરવાના પ્રયાસોથી ઉગ્ર આક્રોશ
કેબીનેટમંત્રી, સાંસદો, ધારાસભ્યો સહિતના પ્રજાના પ્રતિનિધિઓના મોઢે તાળા, પ્રાંત અને કચેરીનું વલણ ‘ટીંગાડી’ રાખવાનું
વાંકાનેર તાલુકામાં આવેલા જાલસીકા ત્યાંની સાંપ્રત પરિસ્થિતિને જેટકોના અધિકારીઓ દ્વારા જાણે ધ્યાને લેવામાં આવી ન હોય અથવા તો પોતાની મનસુફી મુજબ કામ કરવામાં માનતી હોય તેવું ઉદાહરણ જેટકો એ ઊભું કર્યું છે. મચ્છુ એક ડેમથી પસાર થતી હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક લાઈન કે જે નાના નાના ખેડૂતોની જમીનોમાંથી પસાર થાય તો તેને લઈ ખેડૂતોને આજીવિકા માટે પ્રશ્ર્નાર્થ થાય તેમ છે. છતાં પણ નિંભર તંત્ર કોઈ પણ પ્રકારે તેમની લાગણી અને વ્યથા સમજવામાં માનતું ન હોય તેવું ચિત્ર પણ ઉભું થયું છે. પ્રજાના સેવકો જેવા કે ધારાસભ્યો, સાંસદો દ્વારા પણ આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં જેટકો દ્વારા કોઈ પણ પ્રકારનું હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી અને તેને લઈ જાલસીકા ગામના ખેડૂતોને ઘણી ખરી હેરાનગતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે
કેન્દ્ર સરકારની જે કિસાન સૂર્યોદય યોજના છે તે અંતર્ગત જેટકો દ્વારા ઘિયાવડ સાપર 220 કે.વીની લાઈન પસાર કરવામાં તૈયારીઓ શરૂૂ કરી દીધી છે અને હાલ આ ષડયંત્ર ને ખેડૂતો દ્વારા અટકાવવામાં પણ આવ્યું છે પરંતુ જો આ લાઈન તેમના ખેતરોમાંથી પસાર કરવામાં આવે તો તે ખેડૂતો માટે નડતરરૂૂપ બનશે. એટલું જ નહીં તે ગામમાં આવેલી આશરે 13 જમીનના ખાતેદારો દ્વારા લેખિતમાં આ અંગે જાણ કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે હાલ જે ખેતરો માંથી લાઈન પસાર કરવામાં આવશે તો તે અયોગ્ય છે ખરા અર્થમાં ખેતરોની બંને બાજુ સરકારી ખરાબો છે જો આ હાઈ વોલ્ટેજ લાઈનને સરકારી ખરાબ માંથી પસાર કરવામાં આવે તો ખેડૂતો માટે સાનુકૂળતા રહે.
આ અંગે અનેકવિધ વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી સામે ખેડૂતોનું કહેવું છે કે જે લાઈન પસાર કરવાની વાત ચાલી રહી છે. તેને જો સરકારી ખરાબાની જમીનમાંથી પસાર કરવામાં આવે તો લંબાઈ પણ ટૂંકી થઈ જાય છે. બીજી તરફ જે સાડા ચારસો ગાયો માટે જે ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તે ખેતરો માંથી જ થાય છે ત્યારે અન્ય ખાતેદારોની જમીનમાં પણ આ લાઈન પસાર થાય તો વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ સર્જાય છે.
બીજી સૌથી મોટી ચિંતાનો વિષય છે કે આ ખેડૂતો જે છે તે નાના ખાતાના ખેડૂતો છે જેની પાસે માત્ર પાંચ કે 10 વીઘા જેટલી જગ્યા હોય અને તે પણ તેની મરણમુળી સમાન હોય જ્યારે આટલી મોટી હાઈ વોલ્ટેજ લાઈન તેમના ખેતરોમાંથી પસાર થાય તો તેમની જમીનની કિંમત શૂન્ય થઈ જાય છે ત્યારે આ તમામ બાબતે રાજ્ય સરકારે અને ખાસ જેટકોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂૂર છે તો બીજી તરફ ખેડૂતો આંદોલનના પણ મંડાણ માટે તૈયાર થઈ ચૂક્યા છે કારણકે અનેકવિધ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં જેટકોના નિમ્ભર અધિકારીઓ આ અંગે સહેજ પણ ગંભીર થયા નથી જેના ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 31 માર્ચ 2023 ના રોજ નાયબ કલેકટર વાંકાનેર દ્વારા આ અંગે હુકમ કરવામાં આવ્યો હતો જેની સામે નારાજ થઈ ખેડૂત અરજદારો દ્વારા કલેક્ટર સમક્ષ પણ અપીલ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી આ મામલે કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.
ખેડૂતોની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સહિત અનેક રાજકીય આગેવાનો તથા નેતાઓને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે એટલું જ નહીં આ તમામ નેતાઓ દ્વારા પણ આ મુદ્દે અનેક વખત આદેશો પણ આપ્યા છે અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા પણ જણાવ્યું છે છતાં જેટકો તંત્ર અવરચંડાઈ કરતું હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
જાલસીકા ગામના ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આ અંગે જ્યારે કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી અને તેનો કોઈ જવાબ આજ દિન સુધી આવ્યો નથી ત્યારે અરજી પેન્ડિંગ હોવા છતાં જેટકોની અવરચંડાઈ આસમાને પહોંચી છે કારણ કે જેટકોના અધિકારીઓ સ્થળ ઉપર આવી ખેડૂત ખાતેદારોને ધાક ધમકી આપી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ હોલમઢ ગામ ખાતે આ લાઈન નાખી દેવામાં આવી છે ત્યારબાદ જાલસીકાના ખેડૂતોના વિરોધ વચ્ચે હજુ આ લાઈન ત્યાં નાખવામાં આવી નથી ત્યારે હવે ઘીઆવડના ખેડૂતોને પણ આ જ પ્રકારે હેરાનગતિ કરી મોટા આર્થિક ખાડામાં ઉતારવાની નફાટાઈ જેટકો કરી રહ્યું છે. બીજી તરફ આ અંગે ડ્રોન સુટ પણ કરાવવામાં આવ્યું છે કે બીજા કયા વિકલ્પ ઊભા થઈ શકે જેને તંત્ર સુધી પણ પહોંચાડવામાં આવ્યું છે.
મીટિંગમાં બોલાવી અધિકારીઓએ ખેડૂતોના હસ્તાક્ષર લઈ લીધા
જાલસીકા ગામે જે 220 કેવીની હાઈ વોલ્ટેજ લાઈન ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવી રહી છે તેના વિરોધમાં અનેકવિધ ખેડૂતો જોડાયેલા છે ત્યારે ખાસ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત ખાતેદારોને બોલાવવામાં આવ્યા હતા અને ખાસ મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત ખેડૂતોના હસ્તાક્ષર લઈ તેમની સંમતિ હોવાનું જણાવી ખેડૂતો વિરુદ્ધ હુકમ થયો હોવાની વાત સામે આવી છે જે ઘટનાને ખેડૂત ખાતેદારો દ્વારા વખોળવામાં આવી અને તેઓએ જણાવ્યું કે તેઓને માત્ર મિટિંગના નામે જ બોલાવવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી હસ્તાક્ષર લઈ ત્યારબાદ એવું જાહેર કરવામાં આવ્યું કે તેઓની સંમતિ છે જે ખેડૂતો સાથે ચીટીંગ થયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.