ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી
વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી કરવવાના વિવાદમાં ત્રણ યુવાનોએ સજોડે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. યોગ્ય ન્યાયની માંગ સાથે પરિવાર દ્વારા લાશ સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. ન્યાયની ખાત્રી મળતા અંતે યુવકની લાશ સ્વીકારવામાં આવી હતી.
વાંકાનેરના મહિકા ગામે મચ્છુ નદીના કાંઠે રાજ્ય સરકાર દ્વારા રેતી માટે લીઝ મંજુર કરવામાં આવેલ હોય જ્યાં બાજુમાં વર્ષોથી ગ્રામ પંચાયત હસ્તકની જમીન ફી ભરીને ખેતી કરવામાં આવતી હતી જો કે ખેડૂતની જમીન રેતી માટેની લીઝમાં આવતી હોવાનો દાવો કરી લીઝ સંચાલકો દ્વારા જમીન ખાલી કરવવા દબાણ કરવામાં આવ્યું જેથી કંટાળી જઈને ખેડૂત પરિવારના યશ હરિભાઈ બાંભણીયા (ઉ.20), કલ્પેશભાઈ વિનોદભાઈ બાંભણીયા અને વિશાલ વિનોદભાઈ બાંભણીયા (ઉ.20) એ સજોડે ઝેરી દવા પી લેતા તાત્કાલિક પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યશ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું ધટનાની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસની રાજકોટ હોસ્પિટલ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે તો ફરિયાદ નોંધવા પણ તજવીજ હાથ ધરી છે.
યશ નામના યુવાનના મૃત્યુને પગલે પરિવારમાં આક્રંદ ફેલાયો છે તો આરોપીઓ સામે કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને પરિવારજનો ધરણા પર બેઠા હતા. મામલો તંગ બનતા ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. અને આરોપીઓ સામે કાર્યવાહી કરી યોગ્ય ન્યાયની ખાત્રી આપવામાં આવતા પરિવાર દ્વારા અંતે લાશ સ્વીકારી લેવામાં આવતા મામલો થાળે પડયો હતો.