ધોરાજી સેશન કોર્ટે દુષ્કર્મનાં કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી
આરોપી પરિણીતા હોવા છતાં જામકંડોરણાની છાત્રાલયમાંથી દીકરીને ભગાડી લઈ જઈને અનેક વખત શરીર સબંધ બાંધેલ
જામકંડોરણા પંથકની સગીર છાત્રાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને ધોરાજી કોર્ટે 20 વર્ષની સજા અને રૂૂ.5,000 નો દંડ જ્યારે મદદગારીમાં રહેલા આરોપીને શંકાનો લાભ આપીને મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ જામકંડોરણા પંથકમાં રહેતી સગીરાને મૂળ ગોંડલના વતની અને રાજકોટમાં હુડકો ચોકડી પાસે રહેતા અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણ નામના પરિણીત શખ્સે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું જે પોક્સો એકટના ગુનામાં ભોગ બનનાર સગીરા અને આરોપી ઝડપાઈ જતા આરોપીને ગોંડલ જેલ હવાલે કરાયો હતો જ્યારે સગીરાને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. ઘટના બાદ સગીરાને ગોંડલ જામકંડોરણા છાત્રાલયમાં અભ્યાસ માટે મૂકવામાં આવી હતી. તે દરમિયાન પરિણીત પ્રેમીએ સગીરાને આપેલો મોબાઈલ ગૃહમાતાના હાથમાં આવી જતા સગીરા છાત્રાલયની દીવાલ ટપી જેલ મુક્ત થયેલા પ્રેમી અને તેના મિત્ર સાગર સાથે ભાગી હતી અને મુંબઈમાં બંને મકાન ભાડે રાખીને રહેતા હતા જે અંગે ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનનાર અને આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી લઈ આરોપીને જેલ હવાલે કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષી રોકાયેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખએ આરોપી અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણને 20 વર્ષની સજા અને રૂૂ.5000 દંડ ફટકારતો હુકમ કર્યો છે. જ્યારે મદદગારીમાં સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહિલને શંકાનો લાભ આપી મુક્ત કર્યો છે.