નિષ્ઠુર મા… બાલાશ્રમના દરવાજે મૃત નવજાત શિશુ ત્યજી નાસી ગઈ
રાજકોટમાં બનેલી એક ઘટનાથી પાષાણ હૃદયનો માનવી પણ પીગળી જાય તેવી સ્થિતિ જોવા મળી છે. રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ બાલાશ્રમના દરવાજે પારણામાં કોઈ મહિલા એક દિવસના મૃત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. આ બાળકને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી પરંતુ તેનો જીવ બચી શકયો નહીં. આ નિષ્ઠુર માતાએ પોતાના કાળજાના કટકાને ત્યજી દઈ તેને મોતના મુખમાં ધકેલી દીધું હોય આ મામલે કાઠીયાવાડ બાલાશ્રમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે અજાણી મહિલાની શોધખોળ શરૂ કરી છે.
આ ઘટના ગઈકાલે મોડીરાત્રે બની હતી. ગોંડલ રોડ પર કાઠીયાવાડ બાલાશ્રમના ગેઈટ એક પારણુ રાખવામાં આવ્યું છે જ્યાં અનાથ બાળકોને પારણામાં મુકી બાલાશ્રમના હવાલે છોડી દેવામાં આવે છે. ગઈકાલે રાત્રે 12.45 કલાકે કાઠીયાવાડ બાળાશ્રમના પારણાની પાસે રાખેલી ડોર બેલ વાગી હતી જેથી બાલાશ્રમના ગૃહપતિ જયોત્સનાબેન બહાર નિકળ્યા હતા ત્યારે પારણામાં એક નાનુ બાળક જોવા મળ્યું હતું તે રડતું હોય તાત્કાલીક 108ને જાણ કરવામાં આવતાં તેને સારવાર અર્થે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ આ નવજાત બાળકનું મોત થયું હતું.
તપાસ કરતાં જાણવા મળ્યું કે કાઠીયાવાડ બાલાશ્રમના દરવાજે ત્યજી દીધેલું બાળક માત્ર એક જ દિવસ પહેલા જન્મેલું હતું. કોઈ અજાણી માતાએ પોતાના વ્હાલસોયાને બાલાશ્રમના દરવાજે મુકી પારણાની ડોર બેલ વગાડી ત્યાંથી આ નિષ્ઠુર માતા ભાગી ગઈ હતી. એક દિવસ પહેલા જ જેણે ધરતી ઉપર જન્મ લીધો તે બાળક માત્ર થોડા જ કલાકો જીવ્યા બાદ આ ફા ની દુકાનીયા છોડી દીધી હતી. નિષ્ઠુર માતાએ એક દિવસના બાળકને શા માટે ત્યજી દીધું હશે ? કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે આ કૃત્ય કર્યુ હોય આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. પોલીસે નજીકના સીસીટીવી ફુટેજના આધારે આ મહિલાની શોધખોળ શરૂ કરી છે.