જૂનાગઢમાં નવપરિણીત યુવકના આપઘાત અંગે પત્ની સામે ગુનો
આત્મહત્યા માટે મરવા મજબુર કર્યાની ફરિયાદ
જૂનાગઢના દાતાર રોડ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય પીયુષભાઈ ગોહિલે લગ્નના માત્ર 23 દિવસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. જેને પગલે પીયુષના પરિવારજનોએ તેની પત્ની અને તેના મામા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીયુષના ભાઈ મેહુલ ગોહિલની ફરિયાદ મુજબ, પત્ની ચાંદની રાઠોડ લગ્ન બાદ માત્ર ચાર દિવસ સુધી જ પીયુષ સાથે રહી. ત્યારબાદ તે સતત ઘરમાં ઝઘડો કરતી અને પિયર જતી રહેતી. ચાંદની અને તેના મામા વિજય સોલંકીની દખલગીરીથી પીયુષ માનસિક તણાવમાં હતો.
31 મેના રોજ પીયુષે માતાને બહાર મોકલ્યા બાદ ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, 1 જૂનના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસને તેની પેન્ટના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી.
ડિવાયએસપી હિતેશ ધાંધલીયાના જણાવ્યા મુજબ, મૃતકના મોબાઇલમાંથી પત્ની અને મામા સાથેની વાતચીતના વીડિયો મળ્યા છે. આ વીડિયોમાં બંને દ્વારા પીયુષને સતત ત્રાસ આપવાનો ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં પણ ચાંદની અને વિજય સોલંકીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા છે. પોલીસે ઈંઙઈ કલમ 306 હેઠળ બંને સામે ગુનો નોંધ્યો છે.