પાલિતાણામાં ગૌવંશને માથામાં પથ્થર ઝીંકી સરાજાહેર હત્યા
જૈન તીર્થ નગરી પાલિતાણા શહેરમાં એક શખ્સે ગૌવંશને માથાના ભાગે પથ્થર ઝીંકી દેતા ગૌ વંશનું ઘટના સ્થળે જ મોત નિપજાવી હત્યા કરવામાં આવી હતી. જેના સી.સી.ટી.વી. ફુટેજ સોશ્યલ મિડીયામાં વાયરલ થયા હતા જેને લઇને જીવદયા પ્રેમી તેમજ ગૌ સેવા સમિતિમાં રોષ ફેલાયો હતો. જેમાં ગૌ સેવા સમિતિના અધ્યક્ષ દ્વારા પાલિતાણા ટાઉન પોલીસમાં લેખિત અરજી કરી આપવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પવિત્ર તીર્થ એવા પાલિતાણા શહેરમાં એક માથાફરેલ શખ્સે એક ગૌવંશને માથા ઉપર મોટો પથ્થરો ઝીંક્યો હતો જે બાદ ગૌવંશ ઘટના સ્થળે જ ઢળી પડ્યું હતું અને તેમાં ગૌવંશ મોતને ભેટ્યું હતું. જેના સી.સી.ટી.વી.ફુટેજ સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં જીવદયા તેમજ હિન્દુ સમાજમાં આરોપી સામે ભારે રોષની લાગણી ભભુકી ઉઠી હતી. જે ઘટનાના પડઘા પડતાં પાલિતાણા ગૌ સેવા સમિતિ તેમજ તેના અધ્યક્ષ કલ્પેશભાઇ પરમાર દ્વારા પાલિતાણા ટાઉન પોલીસ મથકના પી.આઇ.ને લેખિત રજૂઆત કરી, આરોપી વિરૂૂદ્ધ કડકમાં કડક પગલાં તેમજ આરોપી વિરૂૂદ્ધ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી હતી. જેને લઇને પાલિતાણા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પાલિતાણા પોલીસે આ મામલે ગૌવંશની હત્યા કરનાર આરોપી હનીફ ઉસ્માનભાઇ ગોગદા (રહે. સોનપરી ગામ, તા. પાલિતાણા) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં પી.આઇ. કરમટાએ જણાવ્યું હતું કે, આરોપી હનીફ પાલિતાણાના ક્ધયાશાળા શોપીંગ નજીક મજુરી કરે છે તે વેળાએ ત્યાં હાજર હતો ત્યારે ગાય નજીકથી પસાર થઇ હતી અને ઢીક ઉલાળી હતી જેની દાઝ રાખી આરોપીએ પથ્થર ઝીંકતા તે પથ્થર ગાયની સાથે રહેલ ગૌવંશને વાગતા તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે ફરિયાદી કલ્પેશભાઇ પરમારની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.