વડોદરા અને ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ બાદ ટોળા ઉમટતા કોમી તંગદિલી
વડોદરા જૂનીગઢી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, એક ઘવાયો
ગોધરામાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ, ટોળાને વિખેરવા બળપ્રયોગ
ઉત્તર પ્રદેશમાં થયેલા રમખાણો ગુજરાતના ગોધરા અને વડોદરા સુધી પહોંચી ગયા છે. ગુજરાતના ગોધરા અને વડોદરામાં એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. એક પોસ્ટથી આ વિવાદ 5 સપ્ટેમ્બરથી શરૂૂ થયો હતો. નવરાત્રિ પહેલા ગુજરાતમાં કોઈ પણ ઘટના ન બને તે માટે, પોલીસે યુવાનોને કાઉન્સેલિંગ માટે બોલાવ્યા હતા. જોકે, કાનપુરમાં પણ આવું જ બન્યું હતું, અને ખોટી માહિતી ફેલાતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
આ વિવાદાસ્પદ પોસ્ટની આગ ગોધરા અને વડોદરામાં પહોચી હતી અને મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગોધરાના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પોસ્ટ બદલ પોસ્ટ કરનારને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જયારે ત્યાં એકત્ર થયેલી એક સમુદાયની ભીડે પોલીસ સ્ટેશનમાં જ હંગામો કર્યો હતો તેમજ તોડફોડ કરી હતી. જેના લીધે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જયારે વડોદરામાં જૂનીગઢીમાં બી ડિવીઝન પોલીસ સ્ટેશન બહાર એક સોશિયલ મીડિયા પોસ્ટના પગલે એક સમુદાયના લોકોએ હંગામો કર્યો હતો.
ગોધરામાં સોશિયલ મીડિયા પર વાયરલ એક વિડીયો મુદ્દે એક સમુદાયના લોકોએ ભારે તોડફોડ કરી હતી. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ગોધરા સીટી બી- ડિવીઝન વિસ્તારમાં એક યુવક વારંવાર ભડકાઉ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો. તેમજ હાલમાં શરુ થનારા નવરાત્રી પર્વના પગલે પોલીસે આ યુવકને બોલાવીને સમજાવ્યો હતો. આવી કોઈ પણ પોસ્ટ વાયરલ ના કરે જેનાથી તણાવ ઉભો થાય જોકે, આ દરમિયાન એક સમુદાયના લોકોને લાગ્યું કે યુવકને ધમકી આપવા માટે બોલાવ્યો છે. જેની બાદ પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ એકત્ર થઈ હતી. તેમજ હંગામો કરવા લાગી હતી. પોલીસે ભીડને કાબુમાં કરવા લાઠીચાર્જ કર્યો હતો. તેમજ અશ્રુગેસના ગોળા પણ છોડ્યા હતા. હાલમાં આ વિસ્તારમાં શાંતિ છે.
બીજો બનાવ વડોદરામાં બન્યો હતો જેમાં વડોદરામાં મોડી રાત્રે સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જૂની ગઢી વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. સોશિયલ મીડિયા પર એક સમુદાયની લાગણી દુભાય તેવો મેસેજ વાયરલ થતાં મામલો ગરમાયો હતો. આ ઘટના બાદ લઘુમતી સમાજના લોકો સીટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. પથ્થરમારામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મામલો શાંત પાડી પરિસ્થિતિને કાબુમાં લીધી.
સોશિયલ મીડિયા એક પોસ્ટના પગલે એક સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ રોડ પર ભારે નારેબાજી કરીને પથ્થરમારો કર્યો હતો. ભીડ એટલી બધી હતી કે રોડ ખાલી કરાવવા માટે પોલીસે મુસ્લિમ ધર્મગુરુની મદદ લીધી હતી. તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ એકશન લેવાની બાંહેધરી આપી હતી. પોલીસે લોકોને કોઈ પણ અફવાથી દુર રહેવાની અપીલ કરી હતી. હાલ શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.