નીટ પરીક્ષા કૌભાંડની તપાસ માટે CBIના ફરી ગોધરામાં ધામા
ગોધરા નીટ પરીક્ષા કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(સીબીઆઇ)ની ટીમ ફરી તપાસ માટે ગોધરા આવી છે. અગાઉ 24 જૂને સીબીઆઈની એક ટીમ તપાસ માટે ગોધરા આવી હતી.
બહુચર્ચિત ગોધરા નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ માટે સીબીઆઈની ટીમ એક મહિના બાદ ફરી ગોધરામાં ધામા નાખ્યા છે. જ્યાં તેમણે ગોધરા ખાતે આવેલી પોસ્ટ ઓફિસ, કલેકટર કચેરી અને બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી હોવાની જાણકારી મળી રહી છે.
નીટ યુજી પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી હતી. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઇઆરની તપાસ પણ રાજ્ય સરકારે સીબીઆઇને સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સીબીઆઇને સોંપવામાં આવી હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું હતું.