વ્યાજના વિષચક્રમાં વેપારીનો આપઘાત
સાવરકુંડલાની ચકચારી ઘટના, ભાજપના ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોના નામ
સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા વેપારીને શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ શખ્સોએ તગડા વ્યાજે નાણાં આપી લોહિ ચૂસી લઈ મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા આ વેપારીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. વ્યાજખોરોના ત્રાસથી વેપારીના આપઘાતની ઘટના દેવળા ગેઈટ વિસ્તારમાં બની હતી.
મળતી માહિતી મુજબ ફરસાણ એસોસીએશન સાથે જોડાયેલા અને ગાંધીચોકમાં મીઠાઈની દુકાન ધરાવતા અશોકભાઈ છગનભાઈ ચૌહાણ (ઉ.વ.47)એ પોતાના ઘરે એકલા હતા ત્યારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક અશોકભાઈએ હુંકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંસકાવી લીધું હતું.
તેમના ખિસ્સામાંથી સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ અને હોથિભાઈ શેરીમાં રહેતા ભાવેશ ગોલણભાઈ વિકમાંએ તેને એક લાખ રૂૂપિયા દર મહિને 10 ટકાના વ્યાજે આપ્યા હતા. ઉપરાંત મુળ કરજાળાના અને હાલ કુંડલા રહેતા નાઈ સમાજના પ્રમુખ બીપીન ધીરૂૂભાઈ શેલારે 9 લાખ ઉંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા. સાવરકુંડલાના દેવળા ગેઈટ પર રહેતા મહેન્દ્ર નરોતમભાઈ નથવાણી 5 વર્ષથી રૂૂપિયા 2 લાખનું દર મહિને 6 હજાર વ્યાજ વસુલતો હતો.
ઉપરાંત દેવળા ગેઈટનો નિરવ ખેરાજ રૂૂપિયા અઢી લાખનું દર મહિને 8 ટકા વ્યાજ વસુલતો હતો. અહીંના મુકેશ શિવલાલ નથવાણીને 3 લાખ સામે 6 લાખ વ્યાજ ચુકવ્યું છતા મુળગી રકમ ઉભી છે.
હાથસણી રોડ પર રહેતો જીતુ મનુભાઈ વાળા 2 લાખનું દર મહિને 8 હજાર વ્યાજ અને તેનો પિતા મનુ ભીમભાઈ વાળા 6 લાખનું દર મહિને 30 હજાર વ્યાજ વસુલતો હોય તથા હાથસણી રોડનો રઘુ ખુમાણ બધાના વ્યાજ એકઠા કરવાનું કામ કરતો હોય અને મિલકત પચાવવા ધમકી આપતો હોય તેણે આપઘાત કર્યો હતો. પોલીસે તમામ 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. હજુ થોડા દિવસ પહેલા સાવરકુંડલામાં એએસપીએ વ્યાજખોરો સામે લોક દરબાર યોજયો હતો. જો કે પોલીસની આવી કાર્યવાહી પણ વેપારીને આપઘાત કરતા અટકાવી શકી ન હતી. કારણ કે લોકો વ્યાજખોરો સામે ફરિયાદ કરતા ડરી રહ્યા છે. સાવરકુંડલામાં અમુક વ્યાજખોરો સીધા જ ઉંચા વ્યાજે ગેરકાયદેસર નાણાં ધીરધાર કરી રહ્યા છે. તો કેટલાક વ્યાજખોરો ડાયરી ચલાવી રહ્યા છે. જેમાં દરરોજ રકમ વસુલવામાં આવે છે. કેટલાક લોકો તો પૈસા ભાડે આપતા હોવાનું રૂૂપકડુ નામ આપી નાણાં વ્યાજે ધીરે છે.