ભાવનગરના ડબલ મર્ડરનો આરોપી ત્રણ વર્ષ બાદ ઝડપાયો, રાજકોટ જેલમાં ધકેલી દીધો
પેરોલ ફર્લો સ્કવોડે સુરેન્દ્રનગરના મેમકા ગામેથી આરોપીને ઝડપી લીધો
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ડબલ મર્ડર કેસના આરોપીની ધરપકડ કરી છે. પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપીને ત્રણ વર્ષ બાદ પકડવામાં સફળતા મળી છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પેરોલ ફર્લો સ્કવોડને નાસતા-ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હતી. પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ આર.એચ.ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આરોપીની ભાળ મેળવી હતી.
પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જોરભાએ મળેલી બાતમીના આધારે આરોપીને મેમકા ગામેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ઘનશ્યામ ઉર્ફે ઘનો પ્રભુભાઇ ધલવાણીયા (ઉંમર 42) તરીકે થઈ છે. તે જોબાળા ગામનો રહેવાસી છે. આરોપી બોરતળાવ પોલીસ સ્ટેશનના ગુના નંબર 73/2017 માં આઇપીસી કલમ 302 હેઠળ નોંધાયેલા ડબલ મર્ડર કેસમાં આરોપી છે. પોલીસે આરોપીને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આ કામગીરીમાં પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ આર.એચ.ઝાલા સહિત પોલીસ સ્ટાફના સાત સભ્યોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.