જામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો
જ્ઞાતિ પ્રશ્ર્ને હડધૂત કર્યાની ફરિયાદ: માથામાં 9 ટાંકા આવ્યા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક દલિત યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો છે. જે હુમલામાં તેને માથામાં 9 ટાંકા લેવા પડ્યા છે. પોલીસે આરોપી સામે હુમલા અને એસ્ટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધ્યો છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અજીત કાનાભાઈ મકવાણા નામના 44 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર લોખંડની પટ્ટી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમ જ પોતે દલિત જ્ઞાતિના છે તેવું જાણવા છતાં સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે સચિન ઉર્ફે કાલી રણછોડભાઈ કણસાગરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.બળદના પૈસાની લેતી દેતી ના મામલે આ હુમલો કરાયો હતો. જે યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને તેને માથામાં નવ ટકા લેવા પડ્યા હતા. પોલીસે એસ્ટ્રોસીટી એક્ટ તેમજ હુમલા અંગેની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.
60 વર્ષના આજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસે આવેલા બસ સ્ટોપ માં આજે સવારે એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતાં પ્રોબેશનલ પીએસઆઇ એચ.વી. ગોહિલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.આશરે 60 વર્ષની વયના અજ્ઞાત પુરુષનું કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનું અનુમાન કરાયું છે, જ્યારે તેના કોઈ વાલી વારસદાર મળ્યા ન હોવાથી મૃતદેહને જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે. જે અંગેની કોઈને જાણકારી હોય તો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.