ઉપલેટાના સેવતરામાં પતરું તુટતાં પહેલા માળેથી પટકાયેલા પ્રૌઢનું મોત
ઉપલેટાના સેવતરા ગામે પતરૂ તુટતા પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયેલા પ્રૌઢનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના સેવતરા ગામે રહેતા મારખીભાઈ પરબતભાઈ બોદર (ઉ.45) સવારના 11 વાગ્યાના અરસામાં પહેલા માળે કામ કરતાં હતાં ત્યારે અકસ્માતે પતરૂ તુટતાં નીચે પટકાયા હતાં. પ્રૌઢને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ બે ભાઈ એક બહેનમાં નાના હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.
બીજા બનાવમાં ગોંડલના ગુંદાસર ગામે રહેતા ભાવેશ દેશાભાઈ મોઢવાડીયા (ઉ.32)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે હતો ત્યારે રાત્રિના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.