વ્યાજે દોઢ કરોડ લઇ સટ્ટામાં હારી ગયા બાદ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ઝેર પીધું
ચોટીલાના યુવાને 10 શખ્સોના નામે લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી, એક કરોડ ચુકવી દીધાનો ઉલ્લેખ
ચોટીલામા આવેલા જુના બસ સ્ટેશન પાછળ રહેતા યુવાને વ્યાજે લીધેલા દોઢ કરોડ રૂપીયા આઇપીએલનાં ક્રિકેટ સટ્ટામા હારી ગયો હતો. જે રૂપીયાની વ્યાજખોરોએ ઉઘરાણી કરતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમા 10 શખસોનાં નામનો ઉલ્લેખ કરાયો છે. અને વ્યાજે લીધેલા રૂપીયામાથી એકાદ કરોડ ચુકવી દીધો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા જુના બસ સ્ટેશન પાછળ રહેતા દીલીપભાઇ લખમણભાઇ ખીમસુરીયા નામનો 38 વર્ષનો યુવાન રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા ભીમગઢ રોડ પર આવેલા નવા બસ સ્ટેશનનાં નાકે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવીલ હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા દિલીપભાઇ ખીમસુરીયા બે ભાઇ એક બહેનમા નાનો છે. અને તેને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે. દિલીપભાઇ દસેક જેટલા લોકો પાસેથી દોઢ કરોડ રૂપીયા વ્યાજે લીધા હતા. જે રૂપીયા આઇપીએલનાં ક્રિકેટ સટ્ટામા હારી ગયા બાદ વ્યાજખોરોએ વ્યાજે આપેલા રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા દિલીપભાઇ ખીમસુરીયાએ ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર દિલીપભાઇ ખીમસુરીયાએ વ્યાજખોરોનાં નામ જોગ રકમ સાથે સ્યુસાઇડ નોટ લખી હતી જેમા 10 લોકોનાં નામનો ઉલ્લેખ કરાયો છે જેમા હાર્દિક ભરતભાઇ જાદવ અને તેની પત્ની ભારતીબેન જાદવ પાસેથી 10 લાખ, વિશાલ દિનેશભાઇ મકવાણા અને દિનેશભાઇ હીરાભાઇ મકવાણા પાસેથી 17 લાખ, કનુભાઇ બોરીચા પાસેથી 5 લાખ, કરમશીભાઇ લોહ પાસેથી 2 લાખ , હિર મેડમ અને ક્રિપાલસિંહ પાસેથી 6 લાખ , કિશનભાઇ પાસેથી 6 લાખ , રાજવીરભાઇ પાસેથી 3 લાખ, ભાવેશભાઇ પાસેથી 4.પ0 લાખ, આશીફભાઇ સુલતાનભાઇ પાસેથી 6 લાખ અને પટેલભાઇ પાસેથી 3 લાખ લીધા હોવાની ચીઠી પોલીસને હાથ લાગતા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.