જામનગરમાં પૈસાની લેતી દેતીના મામલે રિક્ષાચાલક યુવાનની હત્યાની ઘટના
10,000 રૂપિયાની લેતી દેતીના મામલે હર્ષદ મિલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર એ છરી વડે હુમલો કરી કાસળ કાઢી નાખ્યું
જામનગરમાં હર્ષદમીલ ની ચાલી પાછળ પટેલ નગરમાં રહેતા રીક્ષા ચાલક યુવાન પર 10,000 રૂૂપિયાની લેતી દેતી ના મામલે તેજ વિસ્તારમાં રહેતા પિતા પુત્ર એ છરી વડે હુમલો કરી હત્યા નીપજાવ્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે હત્યા અંગેનો ગુનો નોધી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્ર ની શોધખોળ હાથ ધરી છે.
આ હત્યાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ પટેલ નગર શેરી નંબર -3 માં રહેતા અને રીક્ષા ચલાવતા સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થઇમ નામના 27 વર્ષના સંધિ યુવાન પર ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં છરી વડે હુમલો કરાયો હતો.
હર્ષદ મીલ ની ચાલીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નિરંજન સિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ એ ગળાના ભાગે તેમજ છાતી ના ભાગે છરીના બે ઘા જીકી દઇ બન્ને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાય તે દરમિયાન માર્ગમાં જ તેનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી જે. એન. ઝાલા, પીઆઇ નિકુંજ ચાવડા તેમજ અન્ય પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો. આ હત્યાના બનાવવા અંગે મૃતક રીક્ષા ચાલક સબીર ની પત્ની અક્ષાબેન શબીરભાઈ સંધિએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ સબીરભાઈ ની હત્યા નીપજાવવા અંગે નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103 (1), 54, જી પી એફ કલમ 135 મુજબ છે અને બંને ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધ ખોળ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક સબીરભાઈએ આજથી થોડા દિવસ પહેલા જયરાજસિંહ દરબાર નામના અન્ય એક રીક્ષા ચાલકને 10,000 રૂૂપિયા હાથ ઉછીના આપેલા હતા, જે રકમ પરત આપવા માટે ગઈકાલે મૃતક યુવાનને બોલાવ્યો હતો.
જે દરમિયાન રસ્તામાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં આરોપી પિતા પુત્ર ભેગા થઈ ગયા હતા, અને અને મૃતક યુવાન તથા જયરાજસિંહ વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે બંનેએ તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર થયું છે.જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે.