કપડાનું માપ લેવા ગયેલ દરજીએ બે ઘરમાં હાથફેરો કર્યો
જામજોધપુરના સમાણાની રૂા.6.85 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો મુદામાલ કબજે કરાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં તાજેતરમાં બે રહેણાંક મકાનોમાંથી કુલ રૂૂપિયા 6,85,000 ની માલમાતાની ચોરી થયાની જુદી જુદી બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ એલસીબી ની ટુકડીઓ ઉકેલી નાખ્યો છે, અને એક તસ્કરને સકંજામાં લઈ લીધો છે. જેની પાસેથી રૂૂપિયા 7.39 લાખની માલમતા કબજે કરી લેવાઇ છે. દરજીકામનું માપ લેવા જતી વખતે ચાવી રાખવાના સ્થળની રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લીધું હતું.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા ચિંતનભાઈ રમણીકભાઈ અજુડીયા કે જેઓ લૌકિકક્રિયાના કામ માટે પોતાના પરિવાર સાથે જામનગર આવ્યા હતા, જે દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરે નિશાન બનાવી લીધું હતું, અને 20,000 ની રોકડ રકમ તથા રૂૂપિયા 6 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.
આ ઉપરાંત બાજુમાં જ રહેતા મનિષાબેન નિલેશભાઈ ગોહિલ નામના મહિલાના મકાનમાંથી પણ રૂૂપિયા 65,000 ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જે બનાવની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉપરોક્ત બંને પોલીસ ફરિયાદ બાબતમાં શેઠ વડાળા પોલીસ ની ટીમ તપાસ ચલાવી રહી હતી, જેની તપાસમાં એલસીબી ની ટુકડી પણ જોડાઈ હતી, અને સમાણા ગામમાં જ રહેતા અને દરજી કામ કરતા તૃશાંશ હસમુખભાઈ ધામેચા નામના દરજી શખ્સને ઝડપી લીધો છે, અને તેની પાસેથી સોના ચાંદીના દાગીના, એક બાઈક સહિત રૂૂપિયા 7.39 લાખની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે દિવસ દરમિયાન દરજીકામનું માપ લેવા માટે આવતો હતો, જે દરમિયાન તેણે મકાનમાં ચાવી રાખવાની રેકી કરી લીધી હતી, અને તેના આધારે બંધ મકાનને જોઈને ચોરી કરી લીધી હતી.
જે ચોરાઉ દાગીના વેચવા માટે જામનગર આવ્યો હતો, દરમિયાન એલ.સી.બી. ટુકડીએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો, અને રોકડ અને સોનાના દાગીના સહિતની ચોરાવ સામગ્રી કબજે કરી લેવાઈ છે, ઉપરાંત એક બાઈક પણ કબજે લેવાયું છે.