જ્ઞાન સહાયકોની નોકરી ઉપર લટકતી તલવાર
શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તો છૂટા કરવા અને જરૂરિયાત મુજબ કરાર રિન્યૂ કરવાના પરિપત્રથી વિવાદ
શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવાામં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા એક પરીપત્ર કરતા વિવાદ છેડાયો છે જે શાળામાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય ત્યાંથી જ્ઞાન સહાયકોને છુટા કરવા અને જરૂરીયાતવાળી શાળાઓમાં કરાર રિન્યુ કરવા આદેશ કરાયો છે. આ પરિપત્રથી રોજગારી પર લટકતી તલવાર હોય ફરી એકવાર રોજગારીનો પ્રશ્ર્નાર્થ શિક્ષકોમાં ઉભો થતા કચવાટ ફેલાયો છે.
શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકના કરાર રીન્યુ કરવા બાબતનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જ્યાં જગ્યાઓ મંજુર છે અને ખાલી છે એવી જગ્યા પર જ્ઞાન સહાયક ને કરાર રીન્યુ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત 31-7-2024 ની સ્થિતિએ જો જગ્યા ખાલી ન હોય તો ત્યાં જ્ઞાન સહાયકને છૂટા કરવા સૂચના આપવામાં આવી છે. તથા બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની માહિતી આ પરિપત્રમાં આપવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં હાલ કાર્યરત જ્ઞાનસહાયકોના કરારની અવધિ તા.31-07-2024 ના રોજ પૂ્ણ થતી હોઇ કરાર રિન્યુ કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
તા.31-07-2024 ની સ્થિતીએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાનસહાયકને છુટા કરવાના રહેશે. તા.31-07-2024 ની સ્થિતીએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય, તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાનહાયકના કરાર રીન્યુ કરવાના રહેશે.
તા.31-07-2024ની સ્થિતિએ મહેકમ મંજૂર થયા પછી તા.11-05-2023ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ ક્રમાનુસાર વધ-ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે, તો આ સ્થિતીમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાનસહાયકોને છુટા કરવાના રહેશે.
કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાનસહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.