ભાડાના રૂા.2500ના ડખ્ખામાં નવાણિયો કૂટાઈ ગયો
પ્રેમ લગ્નના પારિવારિક ઝઘડામાં સમાધાન માટે ગયેલા પિતરાઈ ભાઈનું મકાન માલિકે ભાડાની ઉઘરાણી કરી ઢીમ ઢાળી દીધું
ભાડે મકાન રાખનાર યુવક ઘરમાં પુરાઈ જતાં પિતરાઈ અને મિત્ર ઉપર પાંચ શખ્સો તૂટી પડયા
રંગીલુ રાજકોટ રકતરજીત બન્યું હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને ખૂની હુમલા અને હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં વાવડી રોડ પર આવેલ ખોડલ પેલેસમાં પ્રેમ લગ્ન કરનાર યુવકના પારિવારીક ઝઘડાના સમાધાનમાં મિત્ર સાથે ગયેલા નિર્દોષ યુવક ઉપર મકાન ભાડાના રૂા.2500ની ઉઘરાણીમાં મકાન માલિક સહિત પાંચ શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. બન્ને મિત્રો ઉપર જીવલેણ હુમલો કરી ખુની ખેલ ખેલનાર પાંચ શખ્સોને પોલીસે સકંજામાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં પરાપીપળીયા હોલ પાસે આવેલી વાલ્કેશ્ર્વર સોસાયટીમાં રહેતો વિપુલભાઈ જયંતિભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાવડી રોડ પર આવેલ ખોડલ પેલેસના પાર્કીંગમાં હતો ત્યારે ભગીરથસિંહ વનરાજસિંહ વાઘેલા સહિતના પાંચ શખ્સોએ ઝઘડો કરી ધોકા-પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક વિપુલ મકવાણા બે ભાઈ એક બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. સાત વર્ષ પહેલા તેના છુટાછેડા થઈ ગયા હતાં. વિપુલ મકવાણા ટ્રકમાં ક્લિનર તરીકે નોકરી કરી પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતાં મિત્ર સકીલ મહોમદશાહ શાહમદારને વાવડી રોડ પર ખોડલ પેલેસમાં રહેતા કાકાના દીકરા અવેશનો ફોન આવ્યો હતો કે ‘તું ઘરે આવ મારે ભગવતીપરામાં મારા પપ્પાના ઘરે જવું છે’ તેવું કહેતા સકીલ શાહમદાર મિત્ર વિપુલ મકવાણા સાથે માલીયાસણ ચોકડી પાસેથી બાઈક લઈને વાવડી ખોડલ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં અવેશના ઘરે પારિવારીક સમાધાનની વાતોચીતો ચાલતી હતી તે દરમિયાન ભગીરથસિંહ વાઘેલાની પત્નીએ આવી હતી અને ભાડા મુદ્દે બોલાચાલી કરી જતી રહી હતી. બાદમાં સકીલ શાહમદાર અને વિપુલ મકવાણા ઘરે જવા નીકળ્યા હતાં ત્યારે ખોડલ પેલેસના પાર્કીંગમાં ઉભા હતાં ત્યારે ભગીરથસિંહ જાડેજા સ્કુટરમાં બે અજાણ્યા શખ્સો સાથે ધસી આવ્યો હતો અને અવેશના ઘરનો દરવાજો ખખડાવતાં અવેશે દરવાજો નહીં ખોલતાં તે નીચે પાર્કીંગમાં આવ્યો હતો.
સકીલ શાહમદાર અને વિપુલ મકવાણાને ‘તારે શું છે’ તેમ કહી ગાળો ભાંડી હતી. જેથી સકીલ શાહમદાર ગાળો દેવાની ના પાડી જે હોય તે પતાવો ખાલી ભાડાની મેટર છે ભાડુ તમને આપી દેશું તેમ કહેતા ભગી વાઘેલાએ આજે તો તમને બન્નેને પતાવી દેવા છે’ તેમ કહી અન્ય બે શખ્સોને બોલાવ્યા હતાં. પાંચેય શખ્સોએ સકીલ શાહમદારને વિપુલ મકવાણા ઉપર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વિપુલ મકવાણાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જીવલેણ હુમલો કરનાર શખ્સો વિરૂધ્ધ સકીલ શાહમદાર હત્યાની કોશીષનો ગુનો નોંધાવ્યો હતો. પરંતુ વિપુલ મકવાણાનું મોત નિપજતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે હત્યારા પાંચેય શખ્સોને સકંજામાં લીધા હોવાની પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.