પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને બાઇક પાછળ અર્ધનગ્ન હાલતમાં ઢસડી
દાહોદ જિલ્લામાં તાલિબાની સજાનો વીડિયો વાઇરલ થતા ખળભળાટ, 15 લોકોની ધરપકડ, ઘટનાના ધેરા રાજકીય પડઘા
શાંત મનાતા ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવતી ઘટના દાહોદ જિલ્લાના ઢાલસીમળ ગામમાં બની છે. જેમાં પ્રેમીને મળવા ગયેલી પરિણીતાને લોકોના ટોળાએ અર્ધનગ્ન કરી બાઇક પાછળ સાકળથી બાંધીને ધસડતા હાહાકાર મચી ગયો છે. અને આ ઘટનાના રાજકિય પડધા પડવાનું પણ શરૂ થઇ ગયું છે.
આ અંગેની વિગત મુજબ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં પરિણીતાને અર્ધનગ્ન કરીને સરઘસ કાઢવામાં આવ્યું છે. તાલિબાની સજાનો આ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ પરણિત મહિલા તેના પ્રેમીના ઘેર મળવા ગઈ હતી. આ સમય દરમિયાન ગામજનો તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢીને લાવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે મહિલાની ફરિયાદ નોંધીને 15 લોકો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દાહોદના સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસીગભાઇ રાઠોડ સાથે સંબંધ હતો. તે 28મી જાન્યુઆરીના રોજ તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર મળવા ગઈ હતી. ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂૂપાખેડા ગામના લોકો મળીને પ્રેમીના ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો. જે બાદ પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળ સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઘસડીને લઈ જવામાં આવી હતી.
આ લોકોએ પરિણીતાને આવી જ અર્ધનગ્ન હાલતમાં સસરાના નવા મકાને લઈ જઈ ત્યાંથી તેના ઘરે લાવ્યા હતા. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળામાંથી જ કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. જે બાદ આ વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. વીડિયો વાઇરલ થતાની સાથે જ દાહોદ પોલીસે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. પોલીસ ભોગ બનનાર પીડિતા પાસે પણ પહોંચીને તેનું નિવેદન લીધું હતું. પોલીસે 15 લોકો સામે વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજીનામું આપે: ઇસુદાન
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ મણીપુર જેવી ઘટના ઘટી છે. ગુજરાતના દાહોદના સંજેલીમાં એક મહિલાનું અર્ધનગ્ન હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું. આજે તમામ લોકોને સવાલ થાય છે કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા કઈ હદે પહોંચી ગઈ છે? મણીપુરની ઘટનાએ દેશ અને દુનિયામાં ચકચાર મચાવી હતી, જ્યારે એક મહિલાની નગ્ન પરેડ કરવામાં આવી હતી. એ જ રીતે ગુજરાતમાં અર્ધનગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી છે. અમારો સવાલ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? ચૂંટણીઓ લડવી અને જીતવી એક બાબત છે પરંતુ ગુજરાતની જનતાને ન્યાય અપાવવો અને શું સુસજ્જ વ્યવસ્થા આપવી એ એક અલગ બાબત છે. અમારું માનવું છે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. ગુજરાતમાં હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે, પરંતુ હવે તો મહિલાઓની અર્ધનગ્ન હાલતમાં પરેડ કરવામાં આવી રહી છે. આ ઘટના પર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી સ્વીકારે અને કડક કાર્યવાહી કરે અથવા રાજીનામું આપે.